
સોશિયલ મીડિયામાં જ્યોતિષ તરીકેની ઓળખ આપી પ્રેમમાં નાસીપાસ થયેલા યુવક યુવતીઓ સાથે ઠગાઈ કરતા એક આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સાબરમતી પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે વિધિ કરવાના બહાને 40 ગ્રામ સોનું મેળવી આરોપી રાજેન્દ્ર ભાર્ગવે તેની સાથે ઠગાઈ કરી છે.
પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બદનામીના ડરથી લોકો ફરિયાદ ન કરતા હોવાનો લાભ લઈ આરોપી ઠગાઈ કરતો. પૂછપરછમાં સામે આવ્યુ કે આરોપી સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમમાં નાસીપાસ થયેલા અથવા નિષ્ફળ રહેલા યુવક યુવતીઓનો સંપર્ક કરતો અને પ્રેમી કે પ્રેમિકા સાથે પુનઃમીલન કરાવવા માટે વિધી કરવાના બહાને ઠગાઈ કરતો હતો.
પોલીસે જ્યોતિષ રાજેન્દ્ર ભાર્ગવની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે રાજેન્દ્ર instagram અને facebook જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમમાં નાસીપાસ થયેલા અથવા નિષ્ફળ રહેલા યુવક યુવતીઓનો સંપર્ક કરતો અને પ્રેમી કે પ્રેમિકા સાથે પુનઃમિલન કરાવવા માટે વિધી કરવાના બહાને ઠગાઈ કરતો હતો.
રાજેન્દ્ર ઉર્ફે રાજુ ભાર્ગવ મૂળ મોઢેરાનો વતની છે. બે દિવસ અગાઉ શહેરના સાબરમતી પોલીસ મથકે એક મહિલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જ્યોતિષ તરીકે ઓળખ આપી સોનાના દાગીના પર વિધિ કરવાના બહાને ₹2,00,000 ની કિંમતનું 40 ગ્રામ સોનું મેળવી આરોપી રાજેન્દ્ર ભાર્ગવે ઠગાઈ કરી હતી.
રાજેન્દ્ર વિધિ કરવા માટે યુવક યુવતીઓએ પહેરેલા સોનાના દાગીનાની માંગણી કરતો અને સોનાના દાગીના પર વિધિ કરવાથી પ્રેમમાં સફળતા મળશે તેવી બાહેધરી આપી સોનુ લઈ ફરાર થઈ જતો હતો. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં હકીકત સામે આવી કે રાજેન્દ્રએ સંખ્યાબંધ લોકો સાથે ઠગાઈ કરી છે, પરંતુ સમાજમાં બદનામીના ડરે કોઈ યુવક કે યુવતી ફરિયાદ કરવા તૈયાર નથી. તેથી જ પોલીસે ભોગ બનનાર લોકોને અપીલ કરી છે કે આવા પાખંડી અને ધુતારા જ્યોતિષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવે જેથી કરીને અન્ય કોઈ ભોગ ન બને.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 11:36 pm, Sat, 1 April 23