જો તમે ગ્રાહક (Customer) તરીકે છેતરાયેલા છો, તો આ સમાચાર તમારા માટે છે. કેમ કે છેતરાયેલ ગ્રાહકને લઈને એક નિર્ણય કરવામાં આવ્યો છે. જે નિર્ણયથી હવે છેતરાયેલા ગ્રાહક પાંચ લાખ સુધીની વળતરની ફરિયાદ વિનામૂલ્યે કરી શકશે. એટલું જ નહીં પણ છેતરપિંડી કરનાર માટે દંડ અને સજાની પણ જોગવાઈ નક્કી કરાઈ છે. ગ્રાહક જે જિલ્લામાં (district) નિવાસ કરતો હોય કે નોકરી કરતો હોય તો તેની ફરિયાદ નજીકના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં (Consumer Dispute Resolution Commission) દાખલ કરી શકવાનો નિર્ણય કરાયો છે.
ગ્રાહક સુરક્ષા અધિનિયમમાં ગ્રાહકોના હિતોના રક્ષણ માટે રાજ્ય સરકારે છેતરપિંડીનો ભોગ બનેલા ગ્રાહકોને વળતર આપવાની કાર્ય પદ્ધતિમાં મહત્વનો નિર્ણય લીધો છે. ગ્રાહક જે જિલ્લામાં નિવાસ કરતો હોય કે નોકરી કરતો હોય તો તેની ફરિયાદ નજીકના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં દાખલ કરી શકવાનો નિર્ણય કરાયો છે. તેમજ ગ્રાહકની ફરિયાદ પાંચ લાખ સુધીના દાવાની હોય તો તે વિનામૂલ્યે જિલ્લા ફોરમમાં ફરિયાદ કરી શકે છે.
ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી 1 લાખની ફરિયાદે 100 રૂપિયા અને 2 લાખની ફરિયાદે 200 રૂપિયા કોર્ટ સ્ટેમ્પ ફીના આપવા પડતા હતા. જે ફી હવે ગ્રાહકે નહિ આપવી પડે. એટલું જ નહીં પણ પાંચ લાખથી 50 લાખ સુધીના દાવાની ફરિયાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કરી શકાય છે. એ ઉપરાંત જો ફરિયાદ 50 લાખથી બે કરોડ સુધીના દાવાની હોય તો તે રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન અને બે કરોડથી ઉપરની રકમ માટે રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ થઇ શકશે.
એટલું જ નહીં જો સબંધિત ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા ગ્રાહક ફરિયાદ અન્વયે આપવામાં આવેલો નિર્ણય જે તે એકમ દ્વારા સ્વીકારવામાં ન આવે તો તેને એકથી ત્રણ મહિનાની જેલની સજા અને 25 હજારથી એક લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. આ તમામ સુધારા ગ્રાહકને ધ્યાને રાખી કરાયા છે. જોકે હાલમાં સરકારી સ્ટેમ્પ ડ્યુટીમાં જ માફી આપવામાં આવી છે.
વધુમાં ભ્રામક જાહેરાતમાં બે વર્ષની કેદ અને 10 લાખનો દંડનો પણ નિર્ણય કરાયો છે. જેમાં ખોટી અને ગેરમાર્ગે દોરતી જાહેરાત કરનારા ઉત્પાદકો અને વેચાણ કરવા વેપારી સામે ગ્રાહકોને રક્ષણ આપવા સરકારે બે વર્ષ સુધીની કેદની સજા અને 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઇ કરી છે. આ માટે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળની સ્થાપના કરવામાં આવી છે. તેમજ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન અને રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન સાથે જોડાયેલા ગ્રાહક મધ્યસ્થી સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. જેના દ્વારા મધ્યસ્થતા કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જેથી ગ્રાહકને પડતી અગવડતા દૂર કરી ગ્રાહકને ઝડપી ન્યાય અપાવી શકાય.
Published On - 2:36 pm, Sun, 5 June 22