જ્યારે પણ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થાય ત્યારે જે તે ગુનાને લગતી સંબંધિત વસ્તુઓનો કબજો પોલીસ લઈ લે છે અને ત્યારબાદ કોર્ટના આદેશ મુજબ જે તે મુદ્દામાલની માલિકી નક્કી કરવામાં આવે છે, પરંતુ 36 વર્ષ બાદ પોતાનો મુદ્દામાલ પોલીસના કબજામાંથી પરત લેવા આવેલા એક વ્યક્તિને કડવો અનુભવ થયો. 36 વર્ષ બાદ પોતાનું સોનું લેવા કોર્ટમાં પહોંચેલા વ્યક્તિને પિત્તળ મળ્યુ હતુ.
આસ્ટોડિયા પોલીસ સ્ટેશનમાં વર્ષ 1987માં આઈપીસી કલમ 420 અને 114 હેઠળ એક વ્યક્તિનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જે વાદળી કલરના રૂમાલમાં 185 ગ્રામ સોનુ પોલીસે મુદ્દામાલ તરીકે કબજે કર્યું હતું, પરંતુ વર્ષો બાદ તેના સીધીલીટીના વારસદારે આ મુદ્દા માલ પરત લેવા માટે અમદાવાદની મેટ્રો કોર્ટમાં અરજી કરી હતી.
અરજદારના જણાવ્યા મુજબ જે તે ગુનાની તપાસના કામે કબજે કરવામાં આવેલો મુદ્દામાલ કે જે વાદળી કલરના રૂમાલના પેપરમાં પડીકા બાંધીને મૂકવામાં આવ્યો છે. જેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. તેમનું 8 ડિસેમ્બર 2006ના રોજ અવસાન થતા તેની સીધી લીટીના વારસદાર તરીકે હક જમાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં પડી રહેવાથી નુકસાન થાય તેવું પણ કારણ આપવામાં આવ્યું હતું. જે બદલ યોગ્ય શરતોના આધારે વચગાળાની કસ્ટડીમાં પરત મેળવવા માટે અરજી કરવામાં આવી હતી.
આ ઉપરાંત અરજદારની રજૂઆત હતી કે પોલીસે કબજે કરેલ મુદ્દામાલની હાલ તપાસમાં કોઈ જરૂરિયાત નથી તથા બીજા કોઈએ પણ આ મુદ્દામાલની માગણી કરેલી નથી તથા આવા સંજોગોમાં કેસની ટ્રાયલ ચાલતા સમય લાગે એમ હોય તેને પરત આપવામાં આવે. આ સંદર્ભે અરજદાર દ્વારા સર્વોચ્ચ અદાલતના સુંદરભાઈ અંબાલાલ દેસાઈ વિ. ગુજરાત રાજ્યના ચુકાદામાં ઠરાવેલ માર્ગદર્શન અને ધ્યાનમાં લેવાનું પણ ટાંકવામાં આવ્યું હતું. જે સંદર્ભે મેટ્રો કોર્ટે અરજદારને મુદ્દા માલ પરત આપવા હુકમ પણ કર્યો હતો, પરંતુ જ્યારે પોલીસે જે મુદ્દા માલ આપ્યો તેને જોઈને અરજદાર ચોકી ઉઠ્યા હતા.
હકીકત એવી છે કે પોલીસે 1987માં મુદ્દા માલ તરીકે 185 ગ્રામ સોનું કબજે કર્યું હતું. પરંતુ મુદ્દા માલ પરત આપતી વખતે પિત્તળના ધાતુના નાના નાના દાણા સ્વરૂપે અન્ય કોઈ ધાતુ સામે આવતા અરજદાર પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. આ કેસમાં અનેક સવાલ પોલીસ સામે ઉઠી રહ્યા છે કે જ્યારે પોલીસે મુદ્દા માલ તરીકે સોનું કબજે કર્યું હોય ત્યારે શા માટે તેને પરત અન્ય કોઈ ધાતુ પધરાવવામાં આવી છે. આ પ્રકારના મુદ્દા માલ માં કોઈપણ પ્રકારની ગેરરીતી થઈ છે કે કેમ તેવા પણ અનેક સવાલો હાલ ઉઠી રહ્યા છે.
આજના સમયમાં આ સોનાની કિંમતનું આકલન કરીએ તો અંદાજિત 13 લાખની આસપાસ સોનાની કિંમત આપવામાં આવી રહી છે ત્યારે આવા પ્રકારની ગંભીર બેદરકારી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.