Corona in Child: અમદાવાદમાં વધુ બે ખાનગી સ્કૂલોમાં કોરોનાનું સંક્રમણ સામે આવ્યું છે. મહારાજા અગ્રસેન અને સત્વ વિકાસ સ્કૂલનો એક-એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. જણાવી દઈએ કે ગુરુકુળ વિસ્તારની મહારાજા અગ્રસેન સ્કૂલમાં ધો-11નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. તો સિંધુ ભવન રોડ પર આવેલી સત્વ વિકાસ સ્કૂલમાં ધો-2નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા ચિંતા વધી છે.
ત્યારે DEO એ આ બંને સ્કૂલોના વર્ગો 10 દિવસ સુધી બંધ રાખવા આપી સૂચના આપી છે. આ સાથે જ અમદાવાદ શહેરની સ્કૂલોમાં કુલ પોઝિટિવ વિદ્યાર્થીઓની સંખ્યા 6 પર પહોંચી ગઈ છે.
અમદાવાદમાં ઓમિક્રોન
તો રાજ્યમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં એક જ દિવસમાં પાંચ કેસ સામે આવ્યા છે. જેમાં ત્રણ મહિલા અને એક બાળકી અને એક પુરુષ ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. મળતી માહિતી અનુસાર, કોંગોથી મકરબા આવેલી 1 મહિલા અને એક બાળકીનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે દુબઇથી થલતેજ આવેલી એક મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તો બીજી તરફ તાન્ઝાનિયાથી મણિનગર આવેલા એક પુરુષને પણ સંક્રમણ થયું છે. એટલું જ નહિં UKથી નવરંગપુરા આવેલી એક મહિલા પણ ઓમિક્રનથી સંક્રમિત થઇ છે.
ગુજરાતમાં ઓમિક્રોનનો વિસ્ફોટ થયો છે. ગઈકાલે રાજ્યમાં ઓમિક્રોનના નવ નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં (Ahmedabad) પાંચ કેસ જ્યારે આણંદ અને મહેસાણામાં બે-બે કેસ નોંધાયા છે. અત્યાર સુધી રાજ્યમાં ઓમિક્રોનના કુલ 23 કેસ થઇ ગયા છે. જેમાં અમદાવાદમાં 7 કેસ, વડોદરા 3 કેસ, જામનગરમાં 3 કેસ, આણંદમાં 3 કેસ, મહેસાણામાં 3 કેસ અને સુરતમાં 2 કેસ સામે આવ્યા છે. જ્યારે ગાંધીનગર અને રાજકોટમાં ઓમિક્રોનનો એક-એક કેસ નોંધાયો છે.
ગુજરાતમાં કોરોના
આ તરફ રાજ્યમાં કોરોના વાયરસે ફરી ઉથલો માર્યો છે. અને દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે કોરોનાના 91 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 2 લોકોના મૃત્યુ થયા છે.. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 26 નવા કેસ સામે આવ્યા. તો સુરતમાં 17, રાજકોટમાં 15, વડોદરામાં 12 નવા દર્દીઓ મળ્યા. વલસાડમાં 6, જામનગરમાં 5, નવસારીમાં 4, ગીર સોમનાથ, ખેડામાં 2-2, કચ્છ, આણંદ, તાપી, અમરેલીમાં પણ એક એક સામે આવ્યો. તો દેવભૂમિ દ્વારકા અને સુરતમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.
બીજી તરફ છેલ્લા 24 કલાકમાં સારવાર બાદ 41 લોકો સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8.18 લાખથી વધુ લોકો કોરોના મુક્ત થયા છે. રાજ્યમાં રિકવરી રેટ 98.70 ટકાએ પહોંચ્યો. તો કોરોના કારણે રાજ્યમાં મૃત્યુઆંક 10,106 પર પહોંચી ગયો છે. નવા આંકડા બાદ એક્ટિવ કેસ 637 થઈ ગયા છે, જેમાં 9 દર્દી વેન્ટીલેટર પર છે. રસીકરણની વાત કરીએ તો એક દિવસમાં 1 લાખ 82 હજાર 360 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 8 કરોડ 75 લાખ 1 હજાર 402 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
Published On - 9:00 am, Thu, 23 December 21