અમદાવાદ એરપોર્ટ પર શનિવારે રાત્રે હવાના ઊંચા દબાણને કારણે ફ્લાઈટ ઓપરેશનમાં સમસ્યા સર્જાઈ હતી. આ દરમિયાન લેન્ડની પરવાનગી ન મળવાને કારણે 7 ફ્લાઈટ 40 મિનિટ સુધી અમદાવાદના આકાશમાં ચક્કર લગાવતી રહી હતી. આ દરમિયાન ઘણી ફ્લાઈટ્સ ટેક ઓફ થઈ શકી ન હતી.
મુંબઈ અને પટનાની બે ફ્લાઈટમાં ઈંધણ ઓછું હોવાની ચેતવણી મળી હતી. આ કારણે પાયલટે લેન્ડિંગની પરવાનગી માંગી હતી, પરંતુ રનવે ખાલી નહોતો. જેના કારણે આ બંને ફ્લાઈટને ઈન્દોર ડાયવર્ટ કરવામાં આવી હતી. આ બંને ફ્લાઈટ રાત્રે 11.30 કલાકે અમદાવાદ પહોંચી હતી.
સિંગાપોર-અમદાવાદ ફ્લાઈટને વધુ રાહ જોવી પડી હતી. આ ફ્લાઈટે 40 મિનિટ સુધી અમદાવાદના આકાશમાં ચક્કર લગાવ્યા હતા. આ ફ્લાઈટ સાડા છ વાગ્યે એરપોર્ટ પર લેન્ડ થવાની હતી. ક્લિયરન્સ ન મળવાને કારણે ફ્લાઈટ 40 મિનિટ સુધી આકાશમાં ચક્કર લગાવી રહી હતી. આ ફ્લાઈટ દિલ્હી જવાની હતી, પરંતુ ફ્લાઈટ દોઢ કલાક મોડી પડી હતી. 150 જેટલા મુસાફરોને રાહ જોવી પડી હતી.
અમદાવાદ એરપોર્ટના રડારની ક્ષમતા વધારે હોવાના કારણે રાજસ્થાન અને મુંબઈના ફ્લાઈટના અમદાવાદ એરપોર્ટના રડારમાં દેખાતા હોય છે.
છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે. જેમાં કરા સાથે વરસાદ તો ક્યારેય ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે 18 માર્ચે અમદાવાદથી હૈદરાબાદ જતી ફ્લાઈટને ઊંચાઈ પર ખરાબ હવામાનને કારણે ઈન્ડિગોના પ્લેનને આગળના ભાગે નુકસાન થયું હતું. ફલાઈટ સફળતાપૂર્વક હૈદરાબાદમાં લેન્ડ થતા મુસાફરોએ રાહત અનુભવી હતી.
18 માર્ચે ઈન્ડિગોની અમદાવાદથી હૈદરાબાદ જતી ફલાઇટ એરપોર્ટ પરથી ટેકઓફ થઈ હતી. ત્યારે હૈદરાબાદ નજીક પહોંચતા 20 હજાર ફૂટની ઊંચાઈ પર ખરાબ હવામાનને કારણે ફ્લાઈટને નુકસાન થયું હતું. ઈન્ડિગોની ફ્લાઈટના આગળના ભાગે તથા કાચના ભાગે નુકસાન થયું હતું. કાચ પર તિરાડો પણ પડી હતી. જોકે હૈદરાબાદ નજીક હોવાથી મુસાફરો સાથેની ફલાઈટ સફળતાપૂર્વક હૈદરાબાદ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. સમગ્ર ઘટનામાં કોઈને ઇજા કે નુકસાન થયું નહોતું. આ અંગે એરલાઇન્સ દ્વારા હૈદરાબાદ એરપોર્ટમાં રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે.