
ગુજરાતમાં વર્ષ 2002માં સર્જાયેલા ગોધરાકાંડ બાદ અમદાવાદમાં થયેલા નરોડા ગામ હત્યાકાંડ મુદ્દે વિશેષ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. 28 ફેબ્રુઆરીએ એટલે કે ગોધરાકાંડ બાદના બીજા દિવસે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જે દરમ્યાન અમદાવાદના નરોડા ગામ વિસ્તારમાં ફાટી નીકળેલા તોફાનોમાં 11 લોકોના મોત નિપજ્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ખાસ SIT કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.
આ કેસમાં પોલીસ દ્વારા કુલ 86 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓમાં પૂર્વ પ્રધાન અને ભાજપના નેતા માયા કોડનાની, બજરંગ દળના નેતા બાબુ બજરંગી, VHPના નેતા જયદીપ પટેલ પણ સામેલ હતા. કુલ 86 પૈકી 17 આરોપીઓના મોત થઇ ચૂક્યા હતા. કોર્ટે ગત સપ્તાહે જ સમગ્ર કેસની સુનાવણી પૂર્ણ કરી ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારે કોર્ટે આજની સુનાવણી દરમ્યાન તમામ આરોપીઓને હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. બનાવના 21 વર્ષ બાદ કોર્ટ ચુકાદો આપ્યો છે, ત્યારે પિડીત પક્ષ દોષીઓને કડક સજા થાય અને તેમને ન્યાય મળે તેવી આશા રાખી રહ્યો છે.
આ કેસમાં 26 ઓગસ્ટ, 2008ના રોજ સુપ્રીમ કોર્ટના નિર્દેશથી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ(SIT)ને તપાસ સોંપાઈ હતી. આ કેસમાં કુલ 58 સાક્ષીઓએ બચાવ પક્ષે જુબાની આપી હતી. જ્યારે કે 187 સાક્ષીઓની ફરિયાદી પક્ષે જુબાની લેવાઈ હતી. કોર્ટમાં ટ્રાયલ શરૂ થયાના લગભગ 14 વર્ષ સુધી ચાલેલા આ કેસમાં 6 જજોએ સતત મામલાની સુનાવણી કરી.
23 સપ્ટેમ્બર, 2013ના રોજ તપાસ અધિકારી પ્રવિણ મલની જુબાની શરૂ કરવામાં આવી હતી. જેમની ઉલટ તપાસ આશરે બે વર્ષ સુધી ચાલી હતી. આ પછી SITના સ્પેશિયલ જજ પી.બી. દેસાઈની કોર્ટમાં અંતિમ દલીલો ચાલી હતી. તેઓ વય મર્યાદાને લીધે નિવૃત્ત થતા એમ. કે. દવેની સમક્ષ નવેસરથી દલીલો ચાલુ કરવામાં આવી હતી. જેમની પણ પોણા ત્રણ વર્ષ પહેલાં બદલી થતાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ અને નરોડા ગામ રમખાણ કેસમાં વિશેષ અદાલતના જજ એવા સુભદા બક્ષી સમક્ષ દલીલો ચાલતી હતી. જે ગત 5 એપ્રિલના રોજ પૂર્ણ થઇ હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 5:40 pm, Thu, 20 April 23