અમદાવાદ : રાજ્યના વિવિધ રીક્ષા યુનિયન દિવાળી બાદ હડતાળ પાડશે, શું છે રીક્ષાચાલકોની માગ ?

ગુજરાત ઓટોરીક્ષા ડ્રાઈવર એક્શન કમિટીના મુખ્ય કન્વીનર અશોક પંજાબીએ આ હડતાળ વિશે કહ્યું કે, 90% રિક્ષાચાલકોએ આ હડતાળને સમર્થન આપ્યું છે. અમદાવાદમાં આશરે 2.20 લાખ જેટલા રીક્ષાચાલકોનું સમર્થન મળ્યું છે.

અમદાવાદ : રાજ્યના વિવિધ રીક્ષા યુનિયન દિવાળી બાદ હડતાળ પાડશે, શું છે રીક્ષાચાલકોની માગ ?
Ahmedabad: Various rickshaw unions in the state will go on strike after Diwali. What is the demand of rickshaw pullers?
| Edited By: | Updated on: Oct 28, 2021 | 1:02 PM

અમદાવાદ સહિત રાજ્યના વિવિધ રીક્ષા યુનિયન દિવાળી બાદ હડતાળ પાડશે. જીહાં, જે રીતે CNGના ભાવમાં વધારો થયો છે તેને જોતા રીક્ષાચાલકોએ હડતાળ પાડી રીક્ષાના ભાડામાં ઉચ્ચક વધારો કર્યો હતો. રીક્ષાચાલકોની હડતાળને ગંભીરતાથી લઈ RTO અધિકારીએ તમામ રીક્ષા યુનિયન સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં મહત્વના મુદ્દાની ચર્ચા કરવામાં આવી. રીક્ષા યુનિયન આગેવાનોનું કહેવું છે કે સકારાત્મક વાતાવરણમાં આ બેઠક પૂર્ણ થઈ હતી. જેથી હાલ પૂરતા રીક્ષાચાલકોએ ભાડામાં કોઈ જ વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ જો CNGના વધેલા ભાવ મુદ્દે સરકાર કોઈ ચોક્કસ પગલા નહીં લે તો 31મી ઓક્ટોબરના રોજ રીક્ષા યુનિયનના આગેવાનો બેઠક કરી હડતાળ અંગે નિર્ણય કરશે.

આ તરફ RTO અધિકારીનું કહેવું છે કે હાલ રીક્ષાચાલકો તરફથી કોઈ જ ભાવવધારો કરવામાં નહીં આવે. સાથે જ CNGના ભાવ મુદ્દે સરકાર સાથે જે વાતચીત થશે તે અંગે રીક્ષા યુનિયનોને માહિતગાર કરવામાં આવશે.

અમદાવાદમાં CNGના ભાવમાં વધારો થતા રીક્ષા ચાલકોએ ભાડામાં વધારો કરી દીધો હતો. ઓટો રીક્ષા ચાલક વેલફેર એસોસિએશને ભાવમાં ઉચ્ચક વધારો કર્યો હતો. ઓછામાં ઓછું ભાડું 15 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું હતું, કિલોમીટરી દીઠ 10 રૂપિયાને બદલે 15 રૂપિયા લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ સાથે વેઇટિંગ ચાર્જમાં 5 મિનિટનો 1 રૂપિયો હતો તેને વધારીને 5 રૂપિયા કરવામાં આવ્યાં હતા. પણ હવે હાલ પૂરતા ઉચ્ચક ભાડામાં વધારો કરવાનું ટાળવામાં આવ્યું છે.

ગુજરાત ઓટોરીક્ષા ડ્રાઈવર એક્શન કમિટીના મુખ્ય કન્વીનર અશોક પંજાબીએ આ હડતાળ વિશે કહ્યું કે, 90% રિક્ષાચાલકોએ આ હડતાળને સમર્થન આપ્યું છે. અમદાવાદમાં આશરે 2.20 લાખ જેટલા રીક્ષાચાલકોનું સમર્થન મળ્યું છે. પરંતુ જો સરકાર નહીં માને તો રાજ્યભરના આશરે 9 લાખ રિક્ષાચાલકો બંધ પાળશે. આગામી 10 તારીખની આસપાસ સંકલન કરીને રાજ્યવ્યાપી બંધનું આયોજન કરીશું.

અમદાવાદ રેલવે સ્ટેશન પર રીક્ષાચાલકોનું હડતાળને સંપૂર્ણ સમર્થન જોવા મળ્યું છે. સ્ટેશન ખાતે રીક્ષા માટે ફાળવેલા ટ્રેક પર રીક્ષાની જે લાંબી લાઈન જોવા મળતી હતી તે આજે ગાયબ છે. જેને કારણે અમદાવાદ રેલવે સ્ટેશન પર આવી પહોંચેલા મુસાફરો પરેશાન થયા છે. બહારથી આવતા મુસાફરો ટેક્ષી, BRTS અને AMTS બસોનો સહારો લેવા મજબૂર બન્યાં છે. અમદાવાદના ગીતા મંદિર એસટી સ્ટેન્ડ ખાતે પણ રીક્ષા ચાલકોએ હડતાળને સમર્થન આપ્યું છે. મુસાફરો ભરેલી રીક્ષામાંથી મુસાફરોને ઉતારવામાં આવી રહ્યા છે. આમ, પડતર પ્રશ્નોને લઈને રીક્ષા ચાલક એસોસિયેશન દ્વારા જાહેર કરાયેલી હડતાળની અસર શહેરમાં જોવા મળી રહી છે.