અમદાવાદઃ કોરોનામાં મૃતકોના પરિવારને સહાય મેળવવામાં મુશ્કેલી, MCCD સર્ટિફિકેટ મેળવવા લોકો ખાઇ રહ્યાં છે ધક્કા

સિવિલ હોસ્પિટલમાંથી માત્ર ડેથ સ્લીપ આપવામાં આવી છે. જેમાં દર્દીના મોતનુ કારણ લખ્યું નથી અને ડેથ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે તેમાં પણ મૃત્યુનું કારણ લખવામાં આવ્યું નથી.

અમદાવાદઃ કોરોનામાં મૃતકોના પરિવારને સહાય મેળવવામાં મુશ્કેલી, MCCD સર્ટિફિકેટ મેળવવા લોકો ખાઇ રહ્યાં છે ધક્કા
‘કોઝ ઑફ ડેથ'ના સર્ટિફિકેટ માટે લાંબી લાઈનો
| Edited By: | Updated on: Nov 26, 2021 | 3:24 PM

કોરોનાના મૃતકોના પરિવારને 50 હજારની સહાય મેળવવામાં મુશ્કેલી આવી છે. સહાય માટે જરૂરી MCCD સર્ટિફિકેટ એટલે કે કોઝ ઑફ ડેથના સર્ટિફિકેટ મેળવવામાં લોકોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. MCCD સર્ટિફિકેટ લેવા માટે લોકોની લાંબી લાઈનો લાગી છે. સરકાર સહાયની પ્રક્રિયા સરળ થઈ હોવાનું રટણ રટી રહ્યુ છે. પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર વાસ્તવિક્તા કંઈક જૂદી જ દેખાય છે. 50 હજારની સહાય મેળવવા કોરોનાના મૃતકોના પરિજનો પરેશાની ભોગવી રહ્યા છે.

સહાયના ફોર્મ ભરવાની પ્રક્રિયા ખરેખર સરળ થઈ ?

કોરોના મૃતક પરિવારોને સરકારે જાહેર કરેલી સહાય મેળવવા માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સહાય ફોર્મ ભરવા માટે દસ્તાવેજો મેળવવામાં લોકોના નાકે દમ અને આંખે આંસુ આવી રહ્યા છે. સહાય મેળવવા માટે MCCD સર્ટિફિકેટ મેળવવામાં લોકોને ધરમના ધક્કા ખાવા પડે છે. સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા એએમસીના જન્મ મરણ સેન્ટર ખાતે સવારથી જ મૃત્યુના કારણનું સર્ટિફિકેટ મેળવવા માટે કોરોના મૃતકના પરિવારજનોની લાંબી લાઈનો લાગે અને ફોર્મ આપવા માટે પડાપડી થાય છે.

‘કોઝ ઑફ ડેથ’ના સર્ટિફિકેટ માટે લાંબી લાઈનો

કોરોનામાં સ્વજન ગુમાવ્યા બાદ સહાય માટે પણ લાઈનો અને કોઈ વ્યવસ્થા ના હોવાને કારણે કોરોના મૃતકના સ્વજનોની આંખમાં આંસુ આવી ગયા છે. લોકોને એજ ખબર નથી કે સહાય મળશે કેવી રીતે. મૃત્યુના કારણનું સર્ટિફિકેટ મેળવવા માટે મૃત્યુનું કારણ દર્શાવતું ડેથ સર્ટિફિકેટ માંગતા લોકો 10-10 દિવસથી ધક્કા ખાય છે. જે કોરોના દર્દીઓના સિવિલ હોસ્પિટલમાં મોત થયા છે તેવા દર્દીઓના કોરોના રિપોર્ટ કે સારવરની ફાઇલ દર્દીઓના સગાઓને આપવામાં આવી નથી.

50 હજારની સહાય મેળવવી આટલી મુશ્કેલ ?

સિવિલ હોસ્પિટલમાંથી માત્ર ડેથ સ્લીપ આપવામાં આવી છે. જેમાં દર્દીના મોતનુ કારણ લખ્યું નથી અને ડેથ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે તેમાં પણ મૃત્યુનું કારણ લખવામાં આવ્યું નથી. આમ મૃત્યુના કારણનું સર્ટિફિકેટ મેળવા માટે પરિશિષ્ટ-1 ફોર્મ ભરવામાં દસ્તાવેજો એકત્ર કરવા લોકોને ભારે હેરાનગતિ થઈ રહી છે. જે લોકોએ પરિશિષ્ટ-1 ફોર્મ ભરીને આપી દીધું છે તેમને 10-10 દિવસથી સહાય મેળવવા માટેનું પરિશિષ્ટ-4 ફોર્મ આપવામાં નથી આવ્યું.

 

આ પણ વાંચો : ન્યુઝીલેન્ડના બોલરોએ કાનપુરમાં કરી જબરદસ્ત બોલિંગ, શ્રેયસ સહિત અડધી ટીમ ઈન્ડિયા ધરાશાય, ભારત સામે શાનદાર રેકોર્ડ