અદાણી પોર્ટ પાકિસ્તાન, ઇરાન અને અફઘાનિસ્તાનથી આવતા કાર્ગોનું હેન્ડરિંગ બંધ કરશે

|

Oct 11, 2021 | 6:03 PM

કંપનીએ જે ટ્રેડ એડવાઇઝરી જાહેર કરી છે એમાં આ ત્રણ દેશમાંથી કાર્ગો હેન્ડલિંગ સર્વિસ બંધ કેમ કરવામાં આવી છે એ અંગે કોઈ કારણ આપવામાં આવ્યું નથી.

સપ્ટેમ્બરમાં કચ્છના મુન્દ્રામાં આવેલા અદાણી ગ્રુપના અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (અદાણી પોર્ટ)માંથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અને કસ્ટમ્સ વિભાગની રેડમાં અફઘાનિસ્તાનથી આવેલાં 2 કન્ટેનરમાંથી આશરે 3000 કિલો ડ્રગ્સ પકડાયા બાદ આજે 11 ઓક્ટોબરે અદાણી પોર્ટે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનથી આવતા કાર્ગોનું હેન્ડલિંગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ એક એડવાઇઝરી બહાર પાડી આ બાબતે પોતાના કસ્ટમર્સને જાણ કરી હતી.

ટ્રેડ એડવાઇઝરીમાં અદાણી પોર્ટ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુબ્રત ત્રિપાઠીએ જણાવ્યું હતું કે 15 નવેમ્બરથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનથી આવતા કોઈપણ કાર્ગોનું હેન્ડલિંગ અદાણી પોર્ટ પર કરવામાં આવશે નહીં. આ સાથે કંપની દ્વારા સંચાલિત અન્ય થર્ડ પાર્ટી ટર્મિનલ્સ પર પણ આ દેશોથી આવતાં શિપમેન્ટનું હેન્ડલ કરવામાં આવશે નહીં.

કંપનીએ જે ટ્રેડ એડવાઇઝરી જાહેર કરી છે એમાં આ ત્રણ દેશમાંથી કાર્ગો હેન્ડલિંગ સર્વિસ બંધ કેમ કરવામાં આવી છે એ અંગે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. જાણકારો માને છે કે કચ્છમાં અદાણીના પોર્ટ પરથી ડ્રગ્સ પકડાયા બાદ કંપની સવાલોના ઘેરામાં આવી ગઈ હતી અને સોશિયલ મીડિયામાં પણ આ વાત ઊછળી હતી. એને કારણે આ નિર્ણય લેવાયો હોય શકે છે. ત્યાર બાદ અદાણી ગ્રુપે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે કાયદો ભારત સરકારના કસ્ટમ્સ અને DRI જેવા સક્ષમ અધિકારીઓને ગેરકાયદે કાર્ગો ખોલવા, તપાસવા અને જપ્ત કરવાની સત્તા આપે છે. દેશભરમાં કોઈ પોર્ટ ઓપરેટર કન્ટેનરની તપાસ કરી શકતું નથી. તેમની ભૂમિકા બંદર ચલાવવા સુધી મર્યાદિત છે.

Next Video