હિંમતનગરમાં આંગડીયા કર્મી લૂંટાયો, પોલીસની ઓળખ આપીને 49.40 લાખના સોના-ચાંદીની લૂંટ

હિંમતનગર શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં આંગડીયા પેઢીના કર્મચારીઓ બે અલગ અલગ કાર લઈને આવીને માર મારીને 49.40 લાખની લૂંટ થયાનો બનાવ નોંધાયો છે. વધતા જતા ચોરીના બનાવો વચ્ચે આંગડીયાની લૂંટના સમાચારને પગલે સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઈ હતી અને આરોપીઓને ઝડપી લેવા માટે તપાસ શરુ કરી છે.

હિંમતનગરમાં આંગડીયા કર્મી લૂંટાયો, પોલીસની ઓળખ આપીને 49.40 લાખના સોના-ચાંદીની લૂંટ
| Updated on: Mar 12, 2024 | 7:02 PM

હિંમતનગર શહેરના મુખ્ય બસ સ્ટેશનથી રેલવે સ્ટેશન રોડ પર જવા દરમિયાન પોલીસની ઓળખ આપીને આંગડીયાના કર્મચારીઓને લૂંટી લીધાનો બનાવ સામે આવ્યો છે. સવારના અરસા દરમિયાન આંગડીયા પેઢીના કર્મચારીને બે અલગ અલગ કારમાં આવેલ પાંચેક શખ્શોએ પોલીસ હોવાની ઓળખ આપીને આંગડીયા કર્મચારીનું બાઇક રોક્યુ હતુ.

આંગડીયા કર્મીના બાઇકને ઉભુ રખાવીને ડ્રગ્સનો ધંધો કરો છો કહીને આરોપીઓ તેમની પર તૂટી પડીને માર માર્યો હતો. આ સાથે જ તેમની પાસે રહેલ આંગડીયાનો કિંમતી જથ્થો પણ લૂંટારુઓ લઈને ફરાર થઇ ગયા હતા. લુંટારુઓએ આંગડીયા કર્મીઓને પોલીસ સ્ટેશન લઈ જવા પડશે એમ કહી કારમાં બેસાડી દીધેલા. કારને વિજાપુર હાઇવે પર દોડાવી મુકી હતી. જેમાંથી એક કર્મચારી કાર ધીમી પડતા નિચે કુદી પડ્યો હતો.

ડ્રગ્સ છે કહી ઉભો રાખ્યો

કમલેશ મીરે નોંધાવેલી ફરિયાદ મુજબ તે પોતે અને તેની સાથેના કર્મચારીઓ આંગડીયા પેઢીનો માલ લઈને બાઈક પર સવાર થઈ પેઢીની હિંમતનગરની ઓફિસ જવા માટે નિકળ્યા હતા. આ દરમિયાન બસ સ્ટેશનથી રેલવે સ્ટેશન વચ્ચે જતા બે અલગ અલગ કારમાં આવેલા શખ્શોએ તેમને રોક્યા હતા. આ માટે પોતે પોલીસ હોવાનું જણાવેલ અને છેલ્લા ત્રણ દિવસથી તમને શોધી રહ્યાનું કહીને તેમને રોક્યા હતા.

તમે ડ્રગ્સનો ધંધો કરો છો કહીને આરોપીઓએ પગના સાથળ અને બરડાના ભાગે ધોકા વડે માર માર્યો હતો. લૂંટારુઓએ પોલીસના સ્વાંગમાં રહીને આંગડીયા કર્મચારીને બેરહેમ માર માર્યો હતો. તેમજ કર્મચારીનો મોબાઇલ ફોન પડાવી લઈને તેને તોડી નાંખ્યો હતો. આં ડ્ર્ગ્સના ધંધાની વાત કરીને આરોપીઓએ વહેલી સવારના 7 થી સવા સાત વાગ્યા અરસા દરમિયાન લૂંટને અંજામ આપ્યો હતો.

સોના અને ચાંદી ભરેલ થેલાની લૂંટ

આંગડીયા પેઢીનો થેલો જે લઈને કર્મચારીઓ આવી રહ્યા હતા. તેમાં 49.40 લાખ રુપિયાના સોના અને ચાંદીના દાગીના ભરેલા હતા. થેલામાં અલગ અલગ પાર્સલ સ્વરુપે પેક કરવામાં આવ્યા હતા. આવા 19 પાર્સલમાં 26 કિલો કરતા વધારે ચાંદી હતી. જેની બજાર કિંમત 19,06,419 લાખ રુપિયા થવા પામી છે.

જ્યારે સોનાના 38 જેટલા પાર્સલ થેલામાં હતા. જેમાં લગભગ 30.34 લાખ રુપિયાની કિંમત અંદાજવામાં આવી રહી છે. કુલ 49 લાખ 40 હજાર રુપિયાની કિંમતની મત્તાની લુંટારુઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.

Published On - 6:40 pm, Tue, 12 March 24