બોલીવુડમાં (Bollywood) આજે નીતુ કપૂર (Neetu Kapoor) એ એક લાગણીશીલ વ્યક્તિ તરીકેની ઓળખ ધરાવે છે. તાજેતરમાં, નીતુ કપૂરે તેમના સ્વર્ગસ્થ પતિ ઋષિ કપૂરના (Rishi Kapoor) હોસ્પિટલમાં વિતાવેલા છેલ્લા દિવસો અને 1979માં તેમની સગાઈની તારીખ વચ્ચેના જોડાણને યાદ કર્યું હતું. આ તેણીના માટે ઘણો કપરો સમય હતો, કારણકે રિશી કપૂર વેન્ટિલેટર પર હોવાથી તેમના પરિવાર સાથે વાત કરી શક્યા ન હતા. તેણીએ એ પળોને યાદ કરી છે કે, જયારે 13 એપ્રિલ,1979ના રોજ તેમની સગાઈ થઈ હતી. નીતુ અને રિશી કપૂરના લગ્ન 22 જાન્યુઆરી, 1980ના રોજ થયા હતા.
નીતુએ જણાવ્યું હતું કે, 13 એપ્રિલ, 2020ના રોજ, ઋષિ કપૂરને વેન્ટિલેટર પર મૂકવામાં આવતાં તેમણે તેમના પરિવાર સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. આ તારીખોના સંગમ વિશે વાત કરતા તેણી ખુબ ઈમોશનલ થઇ ગઈ હતી. કારણ કે, તેના પુત્ર રણબીર કપૂર અને આલિયા ભટ્ટની વેડિંગ પ્રિપરેશન પણ 13 એપ્રિલ,2022ના રોજ શરૂ થઈ હતી. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન 14 એપ્રિલ,2022ના રોજ સંપન્ન થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઋષિ કપૂરની કેન્સર સાથે બે વર્ષની સતત લડાઈ પછી 30 એપ્રિલ, 2020ના રોજ અવસાન થયું હતું. લોકપ્રિય સોશિયલ મીડિયા પોર્ટલ ફિલ્મ કમ્પેનિયન સાથે વાત કરતા નીતુએ કહ્યું કે, “રણબીર અને આલિયાના લગ્ન 14 એપ્રિલે થયા હતા, પરંતુ 13 એપ્રિલે અમારા ઘરે પૂજા હતી.”
તેણીએ આગળ જણાવ્યું કે, “રિશી કપૂર 2 અઠવાડિયા સુધી વેન્ટિલેટર પર હતા અને ત્યાં કોઈપણ પ્રકારની વાતચીત થઇ ન હતી. તેઓ મારી તરફ જોઈ રહ્યા હતા અને મેં આઈપેડ લીધું અને મેં તેમને પૂછ્યું કે તે શું કહેવા માંગે છે, પરંતુ તેઓ તેમની આંગળી ઉપાડી શક્યા નહીં. તે સમયે, હોસ્પિટલમાં માત્ર રણબીર અને હું જ હતા અને તેમને આ દુઃખદ સમયમાંથી પસાર થતા જોવા, એ ખૂબ જ ત્રાસદાયક હતું. તેના જેવા મહાન માણસને જોવા માટે… તે અમને ઘણું બધું કહેવા માંગતા હતા અને તે વ્યક્ત કરી શકયા ન હતા. હું તેમને આ રીતે જોઈ શકી નહીં.”
તાજેતરમાં, આ વાતચીત દરમિયાન, નીતુએ ખુલાસો કર્યો હતો કે તેણીના જીવનમાં બે રક્ષણાત્મક પરિબળો છે, જે છે તેની માતા અને દિવંગત પતિ ઋષિ કપૂર.
રણબીર અને આલિયાના ‘વસ્તુ’ના ટેરેસ પર થયેલા ભવ્ય લગ્ન વિશે વાત કરતા, નીતુએ કહ્યું કે જ્યારે આ લોકપ્રિય સ્ટાર કપલ ઈચ્છતા હતા કે તેમના લગ્નમાં ખુબ ઓછા પરંતુ મહત્વના લોકો હાજર હોય. જો કે, ઋષિ કપૂર એક ભવ્યાતિભવ્ય લગ્ન ઈચ્છતા હતા. ઋષિ કપૂરે કહ્યું હતું કે, ‘તે શોમેન છે, શોમેનનો દીકરો છે. તેના લગ્ન એક ભવ્ય સેરેમની હશે. જો કે, રણબીર તદ્દન અલગ છે. તેણે કહ્યું કે, ‘હું પપ્પાને સમજાવીશ.’ તે ખૂબ જ શાંત વ્યક્તિ છે. રણબીરને લાઇમ લાઈટ બિલકુલ પસંદ નથી.
નીતુ કપૂર તેની આગામી ફિલ્મ ‘જુગ જુગ જીયો’ માટે તૈયાર છે, જેમાં તેણીની સાથે વરુણ ધવન અને કિયારા અડવાણી પણ જોવા મળવાના છે. નીતુ કપૂર હાલમાં ‘ડાન્સ દીવાને જુનિયર્સ’માં નોરા ફતેહીની સાથે જજની ભૂમિકા નિભાવી રહી છે.