Thank God : બોલિવૂડ અભિનેતા (Bollywood actor) અજય દેવગન (Ajay Devgn), સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ સ્ટારર ફિલ્મ ‘થેંક ગોડ’ સતત વિવાદનો સામનો કરી રહી છે. જ્યારથી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી ફિલ્મમાં અજય દેવગનના પાત્ર પર સવાલો ઉઠી રહ્યા છે. ફિલ્મના નિર્માતાઓ પર કાયસ્થ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. જેના કારણે ઘણા શહેરોમાં ફિલ્મનો વિરોધ પણ જોવા મળ્યો હતો. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી રહી છે.
તાજેતરમાં જ આ ફિલ્મ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ફિલ્મ સામે વહેલી તકે કાર્યવાહી કરવા જણાવાયું હતું. હવે સુપ્રીમ કોર્ટે અજય દેવગન સ્ટારર થેંક ગોડ ફિલ્મની રિલીઝ સામે તાકીદે સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. આ નિર્ણય બાદ વિરોધ કરી રહેલા લોકો એકદમ લાચાર છે. આ ફિલ્મ 25 ઓક્ટોબરે રિલીઝ થવાની છે અને સુપ્રીમ કોર્ટે આ અરજી પર 21 નવેમ્બરે સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે.
જેનો મતલબ એ છે કે, ફિલ્મ કોઈપણ સમસ્યા વિના રિલીઝ થઈ શકે છે. અરજીકર્તા વકીલ મોહન લાલ શર્માએ કહ્યું કે, ફિલ્મમાં ભગવાન ચિત્રગુપ્તનું અપમાન કરવામાં આવ્યું છે, ફિલ્મની રિલીઝ પર સ્ટે માંગવામાં આવ્યો છે. આનાથી કાયસ્થ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે. અરજીની વાત કરીએ તો અભિનેતા અજય દેવગન, CBFC, નિર્દેશક ઇન્દ્ર કુમાર, નિર્માતા ભૂષણ કુમારને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. કાયસ્થ સમુદાય ભગવાન ચિત્રગુપ્તની પૂજા કરે છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કાયસ્થ સમાજ ભગવાન ચિત્રગુપ્તનું અપમાન બિલકુલ સહન કરી શકે નહીં. તે જ સમયે, ફિલ્મ રિલીઝ થવાથી દેશની શાંતિ અને સૌહાર્દને અસર થઈ શકે છે અને અરાજકતા ફેલાઈ શકે છે. જો કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ ફિલ્મ નિર્માતાઓએ રાહતનો શ્વાસ લીધો છે. ફિલ્મની રાહ જોઈ રહેલા ચાહકો હવે કોઈપણ અવરોધ વિના ‘થેંક ગોડ’ માણી શકશે.
Published On - 2:37 pm, Wed, 19 October 22