
અભિનેતા રાજેશ શર્માની તબિયત બગડ્યા બાદ સામે આવેલા જીવડાના કરડવાના દાવા અંગે હવે નવો વળાંક આવ્યો છે. પ્રભાસની ફિલ્મ ‘ફૌજી‘ની પ્રોડક્શન ટીમે સ્પષ્ટ કર્યું છે કે શૂટિંગ દરમિયાન રાજેશ શર્મા સાથે આવી કોઈ ઘટના બની હોવાની તેમને જાણ નથી.
પ્રોડક્શન ટીમે શું કહ્યું?
દક્ષિણ ભારતીય ફિલ્મોના અહેવાલો મુજબ, ‘ફૌજી’ની ટીમે જણાવ્યું કે રાજેશ શર્માએ પોતાનો શૂટિંગનો ભાગ આ સમાચાર સામે આવ્યા તેના લગભગ એક અઠવાડિયા પહેલાં જ પૂર્ણ કરી દીધો હતો અને ત્યારબાદ તેઓ ઘરે પરત ફર્યા હતા. તે દરમિયાન પ્રોડક્શન ટીમને તેમની કોઈ મેડિકલ ઇમરજન્સી અંગે સત્તાવાર માહિતી મળી નહોતી. ટીમે વધુમાં જણાવ્યું કે સમાચાર સામે આવ્યા બાદ તેમણે રાજેશ શર્માના પરિવાર સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.
સોશિયલ મીડિયા પોસ્ટ પણ હટાવી
અગાઉ અભિનેત્રી સુદીપા ચેટર્જીએ દાવો કર્યો હતો કે શૂટિંગ દરમિયાન રાજેશ શર્માને કોઈ ઝેરી જીવડાએ ડંખ માર્યો હતો. જોકે હવે તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પરથી દૂર કરવામાં આવી છે.
પર્સનલ આસિસ્ટન્ટે આપી અલગ માહિતી
આ દરમિયાન રાજેશ શર્માના પર્સનલ આસિસ્ટન્ટ શુભાશિષ પાંડાએ એક વિડિયો જાહેર કરીને જણાવ્યું કે અભિનેતાને ડાયાબિટીસ સંબંધિત તકલીફોને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો કે રાજેશ શર્માની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેઓ ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ શકે છે.
અક્ષય કુમારે વ્યક્ત કરી હતી ચિંતા
અભિનેતા અક્ષય કુમારે પણ રાજેશ શર્માના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રાજેશના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી અને લખ્યું કે તેઓ ફરી સાથે મળીને હસવાની રાહ જોઈ રહ્યા છે.હાલ રાજેશ શર્માની તબિયત અંગે અલગ-અલગ દાવા સામે આવી રહ્યા છે. એક તરફ જીવડાના ડંખની ચર્ચા થઈ રહી છે, જ્યારે બીજી તરફ તેમની તબિયત બગડવાનું કારણ ડાયાબિટીસ સંબંધિત સમસ્યાઓ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સત્તાવાર રીતે ચોક્કસ કારણ અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.