આજે ભારતીય ટીવી એક્ટર અને કોમેડિયન અલી અસગરનો (Ali Asgar Birthday) જન્મદિવસ છે. દર્શકોના ચહેરા પર સ્મિત લાવનારા અલી આજે 56 વર્ષનો થઈ ગયો. ‘ધ કપિલ શર્મા શો’માં અલી અસગરને દાદીના રૂપમાં લોકોએ પસંદ કર્યો હતો. પરંતુ તમને જણાવી દઈએ કે અસગર, ઈન્ડસ્ટ્રીમાં 35 વર્ષ પૂરા કરવા જઈ રહ્યો છે. કપ્પુની દાદીની ભૂમિકા ભજવતા પહેલા પણ તેણે ઘણી યાદગાર ભૂમિકાઓ કરી છે. કહાની ઘર ઘર કીમાં તેણે ભજવેલી કમલની ભૂમિકા આજે પણ બધાને યાદ છે. પરંતુ આજે જ્યાં તમામ અભિનેતાઓ અને અભિનેત્રીઓ OTT તરફ વળ્યા છે, અલી અસગર પાસે ન તો કોઈ OTT પ્રોજેક્ટ છે અને ન તો તે આજકાલ ટીવી પર દેખાઈ રહ્યો છે.
આ વિશે એક મીડિયા પોર્ટલ સાથે વાત કરતા અલી અસગરે કહ્યું કે, અત્યારે તે તેના પ્રોજેક્ટ વિશે વધુ વિગતો શેર કરી શકતો નથી અને ન તો લોકોને કહી શકે છે કે તે આ દિવસોમાં સ્ક્રીન પરથી કેમ ગાયબ છે. જો કે અમારા સૂત્રોનું માનીએ તો અલી ટૂંક સમયમાં જ ‘ઝલક દિખલા જા’ સાથે કમબેક કરશે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તે શા માટે પોતાને OTT પ્લેટફોર્મથી દૂર રાખે છે, તો તેણે કહ્યું કે, હું એક કોમેડિયન છું અને મારી ઈમેજ એવી બની ગઈ છે કે મેકર્સને લાગે છે કે હવે હું કોઈ અન્ય રોલમાં ફિટ નહીં થઉં.’
અલીએ વધુમાં કહ્યું કે, “મેં ટીવી પર ઘણા પાત્રો ભજવ્યા છે અને OTTમાં પાત્ર ભજવવા માટે વાસ્તવિક ઝોનની જરૂર છે. જો કે હું મારી ઈમેજથી બિલકુલ પરેશાન નથી, હું માત્ર પ્રવાહ સાથે જઈ રહ્યો છું, હું લોકોને સમજાવી શકતો નથી કે હું બહુમુખી પ્રતિભાશાળી અભિનેતા છું, મને તમારા પ્રોજેક્ટનો એક ભાગ બનાવો. મેં જે પણ કામ કર્યું છે તેનાથી હું સંતુષ્ટ છું.” તમને જણાવી દઈએ કે, એકતા કપૂરની સિરિયલમાં અલીએ ભજવેલું ‘કમલ’નું પાત્ર આજે પણ દર્શકોને યાદ છે. આ પાત્રના અનેક રંગો અલીએ નાના પડદા પર રજૂ કર્યા હતા.
OTTમાં કામ કરવા અંગે તે કહે છે કે OTT પર કામ કરતા અન્ય કલાકારોને જોઈને તેને પણ લાગે છે કે તેણે OTT પ્લેટફોર્મ પર કામ કરવું જોઈએ. તે ઘણીવાર વિચારે છે કે આ અભિનેતાએ કેવી ભૂમિકા ભજવી હશે. અલી પણ કેટલાક રસપ્રદ પ્રોજેક્ટની શોધમાં છે, તેને ઑફર્સ મળે છે પરંતુ જ્યારે તેને યોગ્ય લાગે ત્યારે જ તે રોલ કરવા માંગે છે. ટેલિવિઝન પર પાછા ફરવા પર, અભિનેતાએ કહ્યું કે તેને કંઈપણ કરવામાં રસ નથી, તેણે કહ્યું કે તેને કેટલીક કેમિયો ભૂમિકાઓ કરવાની ઓફર મળી હતી, પરંતુ તેણે કેમિયો રોલ કરવાનો ઇનકાર કર્યો હતો.