કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું છે કે હિમાચલ પ્રદેશમાં જ્યારે ફરી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સત્તામાં આવશે, ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવામાં આવશે અને સરકારી કર્મચારીઓની પગાર પ્રણાલીમાં તમામ અનિયમિતતાઓ પર ધ્યાન આપવામાં આવશે. રાજ્યમાં ચૂંટણી રેલીઓને સંબોધતા શાહે કહ્યું કે આ ચૂંટણી ધારાસભ્યો કે મુખ્યમંત્રીને ચૂંટવા માટે નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને એક મજબૂત અને મહાન દેશ બનાવવા માટે છે.
અમિત શાહે કહ્યું, જો તમે જયરામ ઠાકુર સરકારને ચૂંટો છો તો હું તમને વચન આપું છું કે હિમાચલ પ્રદેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે. આને કોઈ રોકી શકે તેમ નથી. ઉનાના મહતપુરમાં એક ચૂંટણી રેલીમાં શાહે કહ્યું, “કૃપા કરીને તમારા મતથી મજબૂત અને સમૃદ્ધ ભારત બનાવવામાં મદદ કરો.” તેને પરિપૂર્ણ કરવા માટે ભાજપે તમામ પ્રયાસો કર્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હિમાચલ પ્રદેશ માત્ર દેવભૂમિ જ નથી, પરંતુ એક વીર ભૂમિ પણ છે કારણ કે રાજ્યની બહાદુર માતાઓએ તેમના પુત્રોને દેશની સરહદોની સુરક્ષા માટે મોકલ્યા છે. હું આ ભૂમિને નમન કરું છું.
હિમાચલ પ્રદેશ માટે ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં સરકારી નોકરીઓ, નવી શૈક્ષણિક સંસ્થાઓ અને વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ માટે 33 ટકા અનામતનું વચન પણ આપ્યું છે. મહિલાઓને તેમની દીકરીઓને ઓછામાં ઓછા 12મા ધોરણ સુધી ભણાવવા માટે પ્રોત્સાહિત કરવા વિનંતી કરતા શાહે કહ્યું કે સરકાર તેમને ટુ-વ્હીલર ગિફ્ટ કરશે. તેમણે કહ્યું, તે સવારે શાળાએ જશે અને સાંજે ઘરે શાકભાજી લાવવામાં પણ મદદ કરશે.
કાંગડા જિલ્લાના નગરોટા ખાતે બીજી ચૂંટણી રેલી દરમિયાન શાહે દાવો કર્યો હતો કે ભાજપ હિમાચલ પ્રદેશના નીચલા અને ઉપરના ભાગોમાં જીત નોંધાવશે. તેમણે કોંગ્રેસ દ્વારા તેના ઢંઢેરામાં આપેલા વચનો પર પણ કટાક્ષ કર્યો અને કહ્યું કે હિમાચલ પ્રદેશના લોકો તે પાર્ટીની ચૂંટણી ગેરંટી પર વિશ્વાસ કરશે નહીં. તેમની ગેરંટી કોણ માનશે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે 10 વર્ષ શાસન કર્યું પરંતુ માત્ર મોટા કૌભાંડોમાં જ સંડોવાયેલા હતા. હવે તેઓ હિમાચલ પ્રદેશના નિર્દોષ લોકોને મૂર્ખ બનાવવાની ગેરંટી આપી રહ્યા છે.
રાજ્યના આ ક્ષેત્રમાં મતદારોને રીઝવવા માટે ગૃહ પ્રધાને પાકિસ્તાન સામે કેન્દ્રના સર્જિકલ એર સ્ટ્રાઈક, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, વન રેન્ક, વન પેન્શન અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાનો પણ ઉલ્લેખ કર્યો. શું તમે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નથી ઈચ્છતા? કોંગ્રેસ પાર્ટી આઝાદીના 75 વર્ષ બાદ પણ રામ મંદિર ઈચ્છતી ન હતી. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે પોતાની વોટ બેંક અને તુષ્ટિકરણની નીતિઓને કારણે ધાર્મિક સ્થળોની અવગણના કરી. શાહે હિમાચલ પ્રદેશને પાંચ વર્ષમાં ડ્રગ ફ્રી બનાવવાનો સંકલ્પ પણ લીધો હતો.
વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા શાહે કહ્યું કે વૈશ્વિક સ્તરે તેમનું કદ વધ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે જ્યારે ભારતીય વિદ્યાર્થીઓ રશિયા સાથેના યુદ્ધ દરમિયાન યુક્રેનમાં ફસાયેલા હતા, ત્યારે મોદીએ બંને દેશોના પ્રમુખોને ફોન કરીને થોડા દિવસો માટે યુદ્ધ બંધ કરવા કહ્યું હતું, જેથી કરીને ભારતીયોને બહાર કાઢી શકાય. શાહે કહ્યું, આ વિશ્વ માટે અભૂતપૂર્વ છે. અમારા વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.