ભરૂચ જિલ્લા વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠકો ઉપર ભવ્ય જીત સાથે BJP નો ભગવો લહેરાઈ ચુક્યો છે. ગુરૂવારે પરિણામ જાહેર થયા બાદ કુલ 5 બેઠકો ઉપર રહેલા 32 માંથી 22 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો છે. ભાજપનો વોટશેર 54 ટકાથી વધુ રહ્યો છે ત્યાં પાંચેય બેઠક ઉપર મતો મેળવવામાં સરેરાશ ત્રીજા નંબરે NOTA રહ્યું છે.ભરૂચ બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારને બાદ કરતાં અન્ય 4 ઉમેદવારોએ કુલ 1746 મત મેળવ્યા છે. જેની સામે નોટાના મત 2722 છે. અંકલેશ્વર બેઠક ઉપર ભાઈ VS ભાઈને બાદ કરતાં અન્ય 2 ઉમેદવારે 3773 મત મેળવ્યા છે. જે સામે નોટાના મત 2327 છે. જંબુસર બેઠક ઉપર 4 ઉમેદવારોના કુલ મત 2829 છે અને નોટાના 2273 છે.એવી જ રીતે વાગરા બેઠક ઉપર ભાજપ કોંગ્રેસને બાદ કરતા અન્ય 7 ઉમેદવારોના કુલ મત 5139 થાય છે. જ્યારે નોટાના 2412 રહ્યાં છે. ઝઘડિયા બેઠક ઉપર નોટાને સૌથી વધુ 3012 મત મળ્યા છે.
જો તમને એવું લાગે કે ચૂંટણી દરમિયાન તમારો મત આપતી વખતે કોઈપણ ઉમેદવાર સાચો નથી તો તમે NOTA બટન દબાવીને તમારો વિરોધ નોંધાવી શકો છો. NOTA લાગુ થયા બાદ ઘણી ચૂંટણીઓ યોજાઈ છે પરંતુ તેમ છતાં તેના હેઠળ માત્ર 2 થી 3 ટકા મતદાન થાય છે.
જ્યાં સુધી દેશમાં NOTA ની વ્યવસ્થા ન હતી ત્યાં સુધી ચૂંટણીમાં જો કોઈને એવું લાગ્યું કે તેમના મતે કોઈ ઉમેદવાર લાયક નથી તો તે લોકો મતદાન કરવા ગયા ન હતા અને આ રીતે તેમનો મત વેડફાયો હતો. આવી સ્થિતિમાં લોકો મતદાનના અધિકારથી વંચિત રહ્યા હતા. આવી સ્થિતિમાં વર્ષ 2009માં ચૂંટણી પંચે NOTAનો વિકલ્પ આપવાના પોતાના ઈરાદા અંગે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી. NOTA નું પૂર્ણ સ્વરૂપ ઉપરોક્તમાંથી કોઈ નથી.
નાગરિક અધિકાર સંગઠન પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝે પણ NOTAને સમર્થન આપતી જાહેર હિતની અરજી દાખલ કરી હતી. આ બાદ વર્ષ 2013માં કોર્ટે મતદારોને NOTAનો વિકલ્પ આપવાનો નિર્ણય કર્યો હતો. આમ EVMમાં NOTAનો બીજો વિકલ્પ ઉમેરવામાં આવ્યો. આ રીતે ભારત NOTA નો વિકલ્પ આપનાર વિશ્વનો ચૌદમો દેશ બન્યો.
Published On - 12:43 pm, Sat, 10 December 22