
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કેન્દ્રીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે કાર્યરત કરવામાં આવેલા મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી કક્ષની જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ અને નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ આજે મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ વિજાણુ માધ્યમોમાં પ્રસિદ્ધ થતી ચૂંટણીલક્ષી રાજકીય જાહેરાતોનું પૂર્વપ્રમાણીકરણ કરવું ફરજિયાત છે. આ ઉપરાંત, રાજકીય પ્રચાર પૂર્ણ થયાના સમય બાદ અખબારોમાં પ્રસિદ્ધ થતી રાજકીય પ્રચારાત્મક જાહેરાતોની મંજૂરી લેવી જરૂરી છે. આ કામગીરી આ સમિતિ દ્વારા કરવામાં આવે છે.
આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ આવતા સમાચારોમાં ચૂંટણી પ્રક્રીયાને અસર કરે તેવી બાબતોનું ચૂંટણી તંત્રને ત્વરિત ધ્યાન દોરવા માટે મોનિટરિંગ આ કક્ષમાં કરવામાં આવે છે. જ્યારે, સમાચારપત્રોમાં આવતા પેઇડન્યૂઝ, જાહેરાતોના ખર્ચની બાબતોની કામગીરી કરવામાં આવે છે. સંયુક્ત માહિતી નિયામક શ્રી આર. આર. રાઠોડે આવકારી વિગતો પ્રદાન કરી હતી. આ એમસીએમસી કક્ષ તૈયાર કરવામાં નિવાસી અધિક કલેક્ટર ડો. પ્રજાપતિ ઉપરાંત નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એચ. એમ. સોલંકી ઉપરાંત ચૂંટણી શાખાના નાયબ મામલતદાર શ્રી એમ. એમ. મલિકનો સુંદર સહયોગ સાંપડ્યો છે.
Published On - 6:59 pm, Thu, 10 November 22