ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, છતાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાનો સિલસિલો યથાવત છે. દહેગામના પૂર્વ MLA કામિનીબા રાઠોડે ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. અને આજે સત્તાવાર રીતે તેઓ ભાજપમાં જોડાશે. કોંગ્રેસમાંથી દહેગામ બેઠક પર ટિકિટ કપાતા કોંગી MLA નારાજ થયા હતા. જેથી તેઓએ અપક્ષમાંથી દાવેદારી નોંધાવી હતી.
જો કે હવે તેમણે દાવેદારી ફોર્મ પરત ખેંચ્યુ છે. કામિનીબાએ ‘હાથ’નો સાથ છોડતા કહ્યું હતુ કે,કોંગ્રેસમાં સાચા અને સનિષ્ઠ વ્યક્તિની કદર થતી નથી,પાર્ટીએ અમારી માગણીઓ પર ધ્યાન ન દોર્યું. આ સાથે તેમણે ભાજપમાં કોઈપણ પ્રકારના લોભ-લાલચ સાથે ન જોડાવવાનો પણ દાવો કર્યો છે.
વિધાનસભાની ચૂંટણી ટાણે રાજકોટ શહેર કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. ગઈકાલે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહીત 100 કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. પૂર્વ કોર્પોરેટર પરષોત્તમ સગપરીયાની આગેવાનીમાં કોંગ્રેસના 150 સિનિયર આગેવાનો ભાજપમાં જોડાયા. રાજકોટ દક્ષિણના ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાએ તમામ લોકોને ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું હતું. પૂર્વ કોર્પોરેટરે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું, કોંગ્રેસમાં કોઈ કામ થતાં નથી. જેથી હું ફરી ભાજપમાં જોડાયો છું.
Published On - 8:18 am, Tue, 22 November 22