
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ભાજપ , કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવારોની યાદી પણ જાહેર કરી રહી છે. આ બધાની વચ્ચે આજે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. મહત્વનું છે કે ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી મેનિફેસ્ટોની ઘોષણા કરવામાં આવશે. તો સાથે જ આ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને હશે. ખેડૂતોનું દેવું માફ, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, 300 યુનિટ વીજળી ફ્રી,જૂની પેંશન યોજના, કોન્ટ્રાકટ પ્રથા નાબૂદી સહિતના તમામ વાયદાઓને તેમાં આવરી લેવામાં આવશે.
ગુજરાત ચૂંટણીને લઈને કોંગ્રેસે ગઈકાલે તેમની ત્રીજી યાદી પણ જાહેર કરી હતી. આ સાથે કોંગ્રેસ અત્યાર સુધીમાં 95 ઉમેદવારોના નામ જાહેર કરી ચુકી છે. ત્રીજી યાદીમાં સાત ઉમેદવારો જાહેર કર્યા છે, તેમાં ઈન્દ્રનિલ રાજ્યગુરુને રાજકોટ પૂર્વથી ટિકિટ આપવામાં આવી છે. આપને જણાવી દઈએ આમ આદમી પાર્ટી છોડી ફરી કોંગ્રેસમાં આવનાર ઈન્દ્રનિલ રાજ્યગુરુ પહેલા કોંગ્રેસમાં હતા અને ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી જ લડ્યા હતા. આમ આદમી પાર્ટીમાંથી તેમને સીએમને ચહેરો જાહેર ન કરાતા તેમની નારાજગી સામે આવી હતી અને તેઓ આપ છોડી ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી.
કોંગ્રેસની યાદી જાહેર થયા બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ટીવી નાઇન સાથે ખાસ વાતચીત કરી. આ દરમ્યાન જગદીશ ઠાકોરે જણાવ્યું કે ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ અનેક બેઠકો પર નારાજગી જોવા મળી રહી છે, પરંતુ કોંગ્રેસના નારાજ કાર્યકરોને મારો કાંઠલો પકડવાનો હક છે. જેને પણ નારાજગી હોય એ મને મળી શકે છે. જો કે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કોંગ્રેસે જે યાદી જાહેર કરી છે તેમાં કોઇ પણ પ્રકારનો સુધારો નહીં થાય.
Published On - 7:26 am, Sat, 12 November 22