ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાની બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે. આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારે સુરતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ મળી 21 ઉમેદવારો ફોર્મ ભરશે. તમામ મોટી રાજ્કીય પાર્ટીઓના અડધો ડઝન જેટલા ઉમેદવારોના ફોર્મ ભરવાના બાકી છે, ત્યારે આવતીકાલે 14 નવેમ્બરે ફોર્મ ભરવામાં ઘમાસાણ સર્જાય તેવી સ્થિતિ નિર્માણ પામી શકે છે. બપોરના ત્રણ વાગ્યા સુધીના સમયમાં તમામ ઉમેદવારોએ ફોર્મ ભરવાના છે. જેને લઈ આવતીકાલનો દિવસ ઘણો જ મહત્વપૂર્ણ બની રહેશે.
સુરત જિલ્લાની 12 બેઠકો માટે તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. પરંતુ આ બાર બેઠકો પૈકી અનેક ઉમેદવારોએ પોતાનું નામાંકન ભર્યુ નથી. હવે ચૂંટણી લડવા માટે ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. જેને લઈ આવતીકાલે તમામ રાજકીય પક્ષના ઉમેદવારો ફોર્મ ભરવા માટે પડાપડી કરશે. સુરતની અનેક એવી બેઠકો પર ભાજપ કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષના ઉમેદવારોના ફોર્મ ભરવાના બાકી છે. જેને લઈ આ તમામ ઉમેદવારો આવતીકાલે એક જ સ્થળ પર પોતાના સમર્થકો સાથે ભેગા થઈ શકે છે. દરમિયાન આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે ઘમાસાણ સર્જાવાની પણ શક્યતા નકારી ન શકાય.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયા બાદ 14 તારીખ સોમવારે 3:00 વાગ્યા સુધીમાં તમામ પક્ષના ઉમેદવારોએ ચૂંટણી લડવા માટેનું નામાંકન ફોર્મ ભરી દેવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા નથી. સુરતની 12 બેઠકોની વાત કરવામાં આવે તો ભાજપ કોંગ્રેસ અને આપના કુલ 36 ઉમેદવારોમાંથી માત્ર 15 ઉમેદવારો એ જ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. જ્યારે 21 ઉમેદવારોએ ફોર્મ ભરવાના બાકી છે. આપના 7 ઉમેદવાર, ભાજપના 6 ઉમેદવાર,અને કોંગ્રેસના 8 ઉમેદવારો મળી કુલ 21 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા નથી. આ તમામ ઉમેદવારો આવતીકાલે અંતિમ દિવસ હોવાથી ફોર્મ ભરવા પહોંચશે. જેને લઈ છેલ્લી ઘડીએ ફોર્મ ભરવાને લઈને ખેંચતાણ જોવા મળી શકે છે.
ભાજપના 6 ઉમેદવારોના ફોર્મ ભરવાના બાકી છે. જેમાં મજૂરા, વરાછા, કરંજ, કામરેજ, ચોર્યાસી અને સુરત ઉત્તર વિધાનસભા બેઠકોનો સમાવેશ છે.
કોંગ્રેસના 8 ઉમેદવારોએ ફોર્મ ભરવાના બાકી છે. જેમાં મજૂરા, વરાછા, કરંજ, ઉધના લીંબાયત, ચોર્યાસી, સુરત ઉત્તર અને સુરત પૂર્વ બેઠકો સામેલ છે.
આપ પાર્ટીના 7 ઉમેદવારોએ ફોર્મ ભરવાના બાકી છે. જેમાં સુરત પશ્ચિમ, વરાછા, મજૂરા, ચોર્યાસી, ઓલપાડ, લીંબાયત, ઉધના અને સુરત પૂર્વ બેઠકો સામેલ છે.
14 નવેમ્બરે આવતીકાલે નામાંકન દાખલ કરવાનો અંતિમ દિવસ હોવાથી બાકી રહેલા તમામ રાજકીય પક્ષના ઉમેદવારો રેલી સ્વરૂપે ફોર્મ ભરવા નીકળવાના છે. શહેરના જૂદા જૂદા વિસ્તારમાંથી ઉમેદવારો પોતાનું નામાંકન ભરવા અંતિમ ઘડીએ જ ફોર્મ ભરવા પહોંચવાના છે. મોટાભાગના બાકી રહેલા ઉમેદવારો રેલી સ્વરૂપે શક્તિપ્રદર્શન સાથે ફોર્મ ભરવા પહોંચશે. વરાછાથી કુમાર કાનાણી રેલી સાથે ફોર્મ ભરવા જશે તો અલ્પેશ કથિરિયા પણ રેલી સ્વરૂપે ફોર્મ ભરવા જવાના છે. કોંગ્રેસમાંથી પ્રફુલ તોગડિયા પણ પોતાના સમર્થકોના શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા પહોંચશે તો મજૂરા વિધાનસભા બેઠક પરથી વર્તમાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી કાર્યકર્તાઓના શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા પહોંચશે. તમામ ઉમેદવારો એક જ દિવસે ફોર્મ ભરવા જશે, જેને લઈને અંતિમ ઘડી સુધીમાં ફોર્મ ભરવા માટે પડાપડી થઈ શકે છે.