ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : સુરતની જેમ અમદાવાદમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની જેમ જ અમદાવાદમાં પણ દમદાર પ્રચાર કરવાના છે. આવતીકાલે તેમના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જો કે રોડ શો માટે ફક્ત PMOની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. PMOની મંજૂરી મળ્યા બાદ પીએમ મોદીના રોડ શોના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે, આવતીકાલે બપોર બાદ પીએમ મોદીનો રોડ શો યોજવાની શહેર ભાજપની તૈયારીઓ છે. 30 કિલોમીટર લાંબા રોડ શોમાં પીએમ મોદી અમદાવાદની તમામ વિધાનસભા બેઠકો આવરી લેશે.
બીજા તબક્કામાં અમદાવાદની તમામ બેઠકોનું મતદાન થવાનું છે. ત્યારે અમદાવાદની તમામ બેઠકોને આવરી લેવાય તેવા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જો કે ભાજપ દ્વારા હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પણ અત્યારે જે આયોજન કરવામાં આવી રહ્યુ છે તે પ્રમાણે 30 કિલોમીટરના રોડ શોની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદની તમામ બેઠક પરથી રોડ શો પસાર થશે. ત્યાર બાદ જંગી જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જો કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને હજુ સુધી કોઇ સત્તાવાર પરવાનગી નથી મળી. જો પરવાનગી મળશે તો પહેલી વખત વડાપ્રધાન મોદી અમદાવાદમાં 30 કિલોમીટરનો રોડ શો કરશે. આવતીકાલે બપોરે 3 કલાકે PM મોદી રોડ શો યોજવાના છે. નરોડાથી શરુ કરીને ચાંદખેડા સુધી રોડ શો યોજાવાનો છે. શહેરની તમામ બેઠક આવરી લેવાય એ રીતે પીએમના રોડ શોનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે.
PM મોદીના રોડ શોનો રુટ
નરોડા ગામ- બેઠક -નરોડા પાટિયા સર્કલ – કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી -સુહાના રેસ્ટોરન્ટ- શ્યામ શિખર ચાર રસ્તા – બાપુનગર ચાર રસ્તા- ખોડિયારનગર – BRTS રૂટ વિરાટનગર – સોનીની ચાલી- રાજેન્દ્ર ચાર રસ્તા -રબારી કોલોની- CTM થી જમણી બાજુ – હાટકેશ્વર ચાર રસ્તા- ખોખરા સર્કલ- અનુપમ બ્રિજ- પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા – ફૂટબોલ ગ્રાઉન્ડ- ભુલાભાઈ ચાર રસ્તા- ડાબી બાજુ- શાહ – આલમ ટોલનાકા – દાણીલીમડા ચાર રસ્તા- મંગલ વિકાસ ચાર રસ્તા- ખોડિયારનગર બહેરામપુરા- ચંદ્રનગર – ધરણીધર ચાર રસ્તા- જીવરાજપાર્ક ચાર રસ્તા- શ્યામલ ચાર રસ્તા- શિવરંજની ચાર રસ્તા- હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા- પલ્લવ ચાર રસ્તા- પ્રભાત ચોક – પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા- વ્યાસવાડી – ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ – સાબરમતી પોલીસ સ્ટેશન – વિસત ચાર રસ્તા – જનતાનગર ચાર રસ્તા – IOC ચાર રસ્તા ચાંદખેડા સુધી
જે રીતે સુરતમાં રોડ શો થયો હતો અને અમદાવાદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પણ રોડ શો કર્યો. તે પરથી લાગી રહ્યુ છે કે ભાજપ રોડ શો થકી શહેરી વિસ્તારોમાં વધુમાં વધુ વિસ્તારોને આવરી લેવા માગે છે. શહેરી વિસ્તારોમાં ભાજપ દ્વારા આ પહેલા અને આ રીતે શક્તિ પ્રદર્શન કરવામાં આવતુ ન હતુ. પરંતુ આ વખતે પહેલી વાર ભાજપ ગ્રામ્ય વિસ્તારોની સાથે શહેરી વિસ્તારોમાં પણ શક્તિ પ્રદર્શન કરી રહ્યુ છે.
મહત્વનું છે કે, 1 ડિસેમ્બર એટલે કે આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે વડાપ્રધાન બીજા તબક્કાના મતવિસ્તારો પર હવે ફોકસ કરી રહ્યા છે. અમદાવાદમાં બીજા તબક્કામાં મતદાન થવાનું છે. જેથી અમદાવાદની બધી બેઠકોને આવરી લેવાય તેવા શક્તિ પ્રદર્શનનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.
Published On - 12:46 pm, Wed, 30 November 22