ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર-પ્રસાર તેજ બન્યો છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની નજર આદિવાસી મત બેંક પર છે. ત્યારે ફરી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આદિવાસીઓને રીઝવવા પ્રયાસ કરશે. જેના ભાગરૂપે સુરત અને નવસારીમાં એક સાથે ત્રણ રાજ્યના મુખ્યમંત્રીઓ રાજકીય મુલાકાતે છે. આદિવાસી મતદારોને રીઝવવા દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન નવસારીની મુલાકાત લેશે અને સભા યોજી મતદારોને રિઝવવાનો પ્રવાસ કરશે. તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત નવસારીના લુન્સીફુઈથી આદિવાસીઓના હક્ક માટેની લડાઈમાં જોડાશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયું છે. તમામ પક્ષોના નેતાઓ જનતા સુધી પહોંચી રહ્યા છે. ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ આજે (શનિવાર) નવસારી જિલ્લામાં રાજકીય સભાઓને સંબોધશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત નવસારીના લુન્સીકુઇ ખાતે ધારાસભ્ય અનંત પટેલની વિરોધ યાત્રામાં જોડાશે. આ સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચીખલીમાં જનસભાને સંબોધશે. પોલીસ વિભાગ એક સાથે ત્રણ મુખ્યમંત્રીઓની મુલાકાતને કારણે સુરક્ષા વ્યવસ્થામાં વ્યસ્ત છે.
આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી માટે રાજકીય જમીન સેટ કરવાનો જંગ છે તો ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે અને કોંગ્રેસ અસ્તિત્વ બચાવવા પ્રયાસો કરી રહી છે. જેમા ભાજપનો ગઢ અને હાઈપ્રોફાઈલ બેઠક નવસારીમાં ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓના પ્રવાસને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના હોમટાઉનમાં એકસાથે ત્રણ સીએમ પોતાનો રાજકીય દાવ ખેલવા આવ્યા છે. ત્યારે આ મુલાકાતનું મહત્વ ઘણુ વધી જાય છે.