વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપે ચૂંટણી પહેલા મોટું ઓપરેશન હાથ ધર્યું છે. લેઉવા પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી તથા રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દિનેશ ચોવટીયા આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં ભાજપમાં જોડાયા હતા. દિનેશ ચોવટીયાનો ભાજપમાં જોડાતા રમેશ ટીલાળાની તાકાતમાં વધારો થતો હોવાનો દાવો કર્યો હતો.
દિનેશ ચોવટીયા લેઉવા પાટીદાર સમાજના અગ્રણી છે. ખોડલધામની શરૂઆતથી જ તેઓ ખોડલધામ સાથે જોડાયેલા હતા અને ખોડલધામના ટ્રસ્ટી પણ હતા, જોકે વર્ષ 2017માં તેઓએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવતા ખોડલધામમાંથી રાજીનામું આપી દીધું હતું. દિનેશ ચોવટીયા વર્ષોથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા હતા અને તેઓ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ રહી ચૂક્યા છે, જોકે અઢી વર્ષ પહેલા તેઓએ કોંગ્રેસથી નારાજ થઈને રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ તેઓ પાટીદાર સમાજમાં સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા.
વિધાનસભા 2017ની ચૂંટણીમાં દિનેશ ચોવટીયા કોંગ્રેસમાંથી ઉમેદવાર હતા, દિનેશ ચોટીયાના પ્રચારમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ પણ જોડાયા હતા. જોકે દિનેશ ચોવટીયાની ગોવિંદ પટેલ સામે હાર થઈ હતી.
ભાજપમાં જોડાયા બાદ દિનેશ ચોવટીયા એ કહ્યું હતું કે ભાજપ દેશ સેવાના કામ કરે છે, અઢી વર્ષથી હું કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયો ન હતો. હવે હું ભાજપમાં જોડાયો છું, કોંગ્રેસ ચૂંટણી સમયે જ દેખાય છે તેના નેતાઓ ચૂંટણી સમયે બહાર આવે છે, દર વખતે ચૂંટણી સમયે કોંગ્રેસમાં ટિકિટને લઈને ઘર્ષણ થાય છે અને ટિકિટો વેચાઈ પણ છે હું જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે મેં આ જોયું છે.
Published On - 10:26 pm, Fri, 18 November 22