ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ગત મોડી રાત સુધી અમરેલી બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ લેવાનો ધમધમાટ ચાલુ રહ્યો હતો. આ વખતે ગુજરાતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામવાનો છે ત્યારે અમરેલીમાં ભાજપ માટે કોને ઉમેદવાર તરીકે પસંદ કરવા તે મનોમંથનનો વિષય બન્યો છે. ત્યારે ભાજપના સ્થાનિક આગેવાનોએ નિરિક્ષકોને મત આપ્યો હતો કે પાર્ટી જેને ટિકીટ આપશે તેને જીતાડવામાં આવશે. અમરેલી બેઠક માટે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણીનો અભિપ્રાય મહત્વનો હોવાનો મત પણ વ્યક્ત કરવામાં આવશે.
હાલમાં અમરેલીની બેઠક કોંગ્રેસના ફાળે છે અને અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણી વર્તમાન ધારાસભ્ય છે. તેઓ સતત નાગરિકોના સંપર્કમાં રહીને પોતાની દાવેદારી મજબૂત કરી રહ્યા છે ત્યારે ભાજપ અહીં કોને મેદાનમાં ઉતારશે તે મોટો પ્ર્શ્ન છે. અમરેલી બેઠકની વાત કરીએ તો અહીંથી કોંગ્રેસના કદાવર નેતા પરેશ ધાનાણી સતત બે ટર્મથી જીતે છે. ભાજપના દિગ્ગજ નેતાઓ પુરૂષોત્તમ રૂપાલા અને દીલિપ સંઘાણીએ અમરેલીથી કારમી હાર સહન કરવી પડી છે. તો ગત ચૂંટણીમાં બાવકુ ઉંધાડ પણ હારી ગયા હતા.
દરમિયાન આ વખતે ગુજરાતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામવાનો છે. ત્યારે અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ સ્થાનિક સ્તરે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. દરેક રાજકીય પાર્ટી પ્રાચર થકી મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહી છે. મત વિસ્તારમાં ક્યારે ગાડીઓમાં પણ ન જોવા મળતા નેતાઓ પદયાત્રા કરી ગામોમાં પહોંચી રહ્યા છે. તો સ્થાનિક નેતાઓ પણ પોતાના મતદારો ગુમાવવા માંગતા ન હોય તેમ જિલ્લા સ્તરે પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે આ નબળી બેઠક પર જીત મેળવવા ભાજપ કોને ઉમેદવાર તરીકે પસંદ કરે છે તે સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખબર પડશે.