Gujarat Election 2022: PM મોદીએ સોમનાથમાં સભા સંબોધી કર્યો પ્રચારનો પ્રારંભ, કહ્યું ‘આ ચૂંટણીમાં ભાજપનો વિજય નક્કી, નરેન્દ્રના તમામ રેકોર્ડ ભુપેન્દ્ર તોડે તેવી ઈચ્છા’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) કહ્યું કે સુશાસનને કારણે ગુજરાત નવી ઊંચાઈએ પહોંચ્યું છે. આ ચૂંટણીમાં પણ તમારે ભાજપને જીતાડવી છે. હું ઈચ્છું છું કે ભૂપેન્દ્ર નરેન્દ્રના તમામ રેકોર્ડ તોડે. ગુજરાત વિકાસની નવી ઊંચાઈએ પહોંચશે.

Gujarat Election 2022: PM મોદીએ સોમનાથમાં સભા સંબોધી કર્યો પ્રચારનો પ્રારંભ, કહ્યું આ ચૂંટણીમાં ભાજપનો વિજય નક્કી, નરેન્દ્રના તમામ રેકોર્ડ ભુપેન્દ્ર તોડે તેવી ઈચ્છા
PM મોદીએ સોમનાથમાં સભા સંબોધી
Image Credit source: BJP Gujarat
| Edited By: | Updated on: Nov 20, 2022 | 1:01 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે સોમનાથ મંદિરમાં પૂજા- અર્ચના કરી પ્રચારનો પ્રારંભ કર્યો છે. PM મોદીએ સોમનાથ મંદિરમાં જળાભિષેક કરીને પૂજા અર્ચના કરી હતી. તે પહેલા તેમણે સોમનાથ મંદિરના પરિસરમાં ઉભેલા પ્રવાસીઓનું હાથ હલાવીને અભિવાદન કર્યું હતું તો લોકોએ પણ પ્રધાનમંત્રી મોદીને હૂંફાળો આવકાર આપ્યો હતો. સોમનાથ પરિસરમાં ઉભેલા યાત્રાળુઓએ વડાપ્રધાનને જોઈને મોદી મોદીના નારા પણ લગાવ્યા હતા. જે પછી સોમનાથમાં વડાપ્રધાને સભા સંબોધી હતી. જેમાં તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નરેન્દ્રના તમામ રેકોર્ડ ભુપેન્દ્ર તોડે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યુ કે હું બધા જ કામનો તમને હિસાબ આપીશ.

ગુજરાત ચૂંટણી 2022: નરેન્દ્રના તમામ રેકોર્ડ ભુપેન્દ્ર તોડે તેવી ઈચ્છા: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ સોમનાથ દાદાની પૂજા અર્ચના કર્યા બાદ જાહેર સભાને સંબોધનની શરૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, ચૂંટણી લોકશાહીનો ઉત્સવ છે, તેથી મતદાન જરૂરથી કરજો. PM મોદીએ કહ્યું કે આ વખતે રેકોર્ડ તોડવાના છે. તેમણે કહ્યું વિધાનસભા તો જીતીશુ, પરંતુ પોલિંગ બૂથ પણ બધા જીતવાના છે. વધુમાં વધુ મતદાન અને વધુમાં વધુ પોલિંગ બુથ જીતવાનો લક્ષ્યાંક છે. આ ચૂંટણીમાં ભાજપની જીત નક્કી છે તેવુ બધા જ કહે છે. આ વખતે નરેન્દ્રના બધા રેકોર્ડ ભૂપેન્દ્ર તોડશે અને એના માટે નરેન્દ્ર કામ કરશે. વધુમાં તેમણે કહ્યું કે અગાઉ ગુજરાતના વિકાસ પર શંકા રાખવામાં આવતી હતી, આજે ગુજરાત નવા ઉંચાઈના શિખર સર કરી રહ્યું છે.

ગુજરાત ચૂંટણી 2022: આ ચૂંટણીમાં ભાજપનો વિજય નક્કી છે: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ ગુજરાતના વિકાસ માટે સખત મહેનત કરશે. સર્વે પોલ કહી રહ્યા છે કે ભાજપ જીતશે. ગુજરાતની જનતાએ હંમેશા ભાજપને આશીર્વાદ આપ્યા છે. આ વખતે પણ જનતા આશીર્વાદ આપશે. પીએમ મોદીએ કહ્યું કે સૌરાષ્ટ્રમાં આ તેમની પ્રથમ ચૂંટણી રેલી છે અને તે પણ સોમનાથ દાદાની પવિત્ર ભૂમિ પર. કચ્છનું રણ અમારા માટે સમસ્યારૂપ લાગતું હતું. અમે કચ્છના આ રણને ‘ગુજરાતના તોરણ’માં બદલી નાખ્યું.

ગુજરાત ચૂંટણી 2022: સૌની યોજના દ્વારા છેવાડાના ગામ સુધી પાણી પહોંચ્યુ – PM મોદી

તો વધુમાં વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, યુવાનોને પહેલાની મુશ્કેલીઓનો ખ્યાલ નહીં હોય. પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નહોતી મળતી. આજે સૌની યોજના દ્વારા છેવાડાના ગામડા સુધી પાણી પહોંચ્યુ છે. પહેલી દુર-દુર સુધી પાણી ભરવા માટે મહિલાઓએ જવુ પડતુ હતુ. પરંતુ અમે નળથી જળ યોજના થકી ઘરે-ઘરે પાણી પહોંચાડ્યુ છે. તો ઉજ્જલા યોજના થકી આજે મહિલાઓનું જીવ બદલી નાખ્યુ છે.

ગુજરાત ચૂંટણી 2022: ખેડૂતો અને સાગરખેડૂઓ માટે અમે યોજના લાવ્યા – PM મોદી

આજે ગુજરાતનો દરિયાકિનારો ધમધમી રહ્યો છે. ગુજરાતના બંદરો ભારતની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બની ગયા છે. તો સાથે જ ખેડૂતો અને સાગરખેડૂઓ માટે અમે યોજના લાવ્યા છીએ. ગુજરાતના માછીમારો હવે દુનિયામાં ડબલ નિકાસ કરી રહ્યા છે. તો વ્યાજખોરોમાંથી પણ અમે માછીમારોને મુક્તિ અપાવી છે.

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાત આજે પ્રવાસનનું હબ બન્યુ – વડાપ્રધાન મોદી

તો વધુમાં વડાપ્રધાને કહ્યું કે, ગુજરાત પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યુ છે. આજે સોમનાથ મંદિર બદલી ગયુ છે. આજે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દુનિયામાં સૌથી વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે.

ગુજરાત ચૂંટણી 2022: હવે આપણી આઝાદીની શતાબ્દી ઉજવીશુ- PM મોદી

તો વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દરેક ક્ષેત્રમાં વિકાસ થાય તેની નીતિ અપનાવી. નરેન્દ્ર દિલ્હીથી અને ગાંધીનગરથી ભૂપેન્દ્ર તમારી સેવામાં હાજર છે. આ વખતની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં મારી પહેલી રેલી છે. વધુમાં વધુ મતોથી ભાજપને જીતાડજો. ઉપરાંત કહ્યું કે, હવે આપણે આઝાદીની શતાબ્દી ઉજવીશુ.

Follow Us
Loading...
Unable to load recommendations.