ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે ભાજપે ચૂંટણી જીતવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. જો કે આ તમામમાં ભાજપના ચૂંટણી પ્રચારનું નેતૃત્વ વડાપ્રધાન મોદી કરવાના છે. વડાપ્રધાન મોદી 19 નવેમ્બરે ગુજરાતના વલસાડની મુલાકાત લેવાના છે. તેઓ તેમના પ્રવાસ દરમિયાન સભાઓ ગજવવાના છે.
ગુજરાતમાં ભાજપના પ્રચાર માટે વડાપ્રધાન મોદીએ પુરતો સમય આપવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન ગુજરાતમાં 25 રેલી કરીને પ્રચાર કરવાના છે, તેમની રેલીઓ માટેના આયોજન થઇ ગયા છે. કાર્યક્રમ માટેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળશે. તેઓ ફરી એકવાર 19મી નવેમ્બરથી ગુજરાતના પ્રવાસે આવવાના છે અને ધૂંઆધાર પ્રચાર કરવાના છે.
પીએમ મોદી દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને વાપીમાં સભાને સંબોધશે. મળતી માહિતી અનુસાર વાપીમાં પીએમ મોદી ભવ્ય રોડ-શો યોજશે. એટલું જ નહિં વાપીમાં વિશાળ રોડ-શો યોજ્યા બાદ વલસાડમાં ભવ્ય સભામાં પણ સંબોધન કરશે. પીએમ મોદીના આ પ્રવાસને લઇ કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
બીજી તરફ 20 નવેમ્બરે વડાપ્રધાન સૌરાષ્ટ્રની મુલાકાત લેવાના છે. સૌરાષ્ટ્રમાં તેઓ વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી આ ચારેય સ્થળ પર જનસભા સંબોધવાના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાત મુલાકાતે આવવાના છે. અગાઉ ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદી વલસાડના નાનપોંઢા આવ્યા હતા. જ્યાં તેમણે સભા સંબોધન દરમિયાન જણાવ્યુ હતુ કે ગુજરાત ભાજપને મારી પાસે પ્રચારનો જેટલો સમય માગવો હોય તેટલો મારો આપવો પડે. હું ગુજરાતમાં પ્રચાર માટે ભાજપ જેટલો સમય માગશે તેટલો આપીશ. પોતે આપેલા વચન પ્રમાણે જ વડાપ્રધાન મોદી આગામી દિવસોમાં ગુજરાતમાં એક પછી એક પ્રચાર રેલીઓ કરવાના છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપે ચૂંટણી જીતવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. વડાપ્રધાન મોદી મતદાન પહેલા 150 બેઠક પર સત્તા માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. તેઓ લગભગ 25 રેલી કરીને 150 બેઠક કવર કરશે.