Gujarat Election 2022: ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ પર વરસ્યા PM મોદી, કહ્યુ-‘કોંગ્રેસને કટકી મળતી બંધ થઇ એટલે હવે મોદીને ગાળો આપે છે’

Gujarat assembly election 2022: બનાસકાંઠાના કાંકરેજમાં વડાપ્રધાને  સભા સંબોધતા ગરીબો અને ખેડૂતોના કલ્યાણ મુદ્દે ફરી એક વખત કોંગ્રેસ પર શાબ્દિક ચાબખાં માર્યા. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કોંગ્રેસની નીતિ 'અટકાના, લટકાના અને ભટકાના'ની હતી. કોંગ્રેસે નર્મદાના પાણી માટે લોલીપોપ આપી પણ પાણી ન આપ્યું.

Gujarat Election 2022: ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ પર વરસ્યા PM મોદી, કહ્યુ-કોંગ્રેસને કટકી મળતી બંધ થઇ એટલે હવે મોદીને ગાળો આપે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંકરેજમાં સંબોધી સભા
| Edited By: | Updated on: Dec 02, 2022 | 2:59 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : બીજા તબક્કાના મત વિસ્તારના મતદારોને આકર્ષવા આજે વડાપ્રધાન મોદીએ સભા ગજવી.  બનાસકાંઠાના કાંકરેજમાં વડાપ્રધાન મોદીએ સભા સંબોધતા ગરીબો અને ખેડૂતોના કલ્યાણ મુદ્દે ફરી એક વખત કોંગ્રેસ પર શાબ્દિક ચાબખાં માર્યા. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કોંગ્રેસની નીતિ ‘અટકાના, લટકાના અને ભટકાના’ની હતી. કોંગ્રેસે નર્મદાના પાણી માટે લોલીપોપ આપી પણ પાણી ન આપ્યું. કોંગ્રેસે સરદાર સરોવર ડેમ ન બને તે માટે અનેક રોડાં નાંખ્યા. જેમણે પાણીને રોક્યું એ પાપને માફ પણ ન કરાય પણ કોંગ્રેસના નેતા તેમના ખભે હાથ મુકીને પદયાત્રા કરે છે. આજે અમે નર્મદાનું પાણી ઘરે ઘરે પહોંચાડ્યું છે. વડાપ્રધાને જણાવ્યું કે, આ મોદી છે, જે કહે એ કરે એનું નામ મોદી. બનાસકાંઠાના લોકો લખીને રાખે, જ્યાં નર્મદાના પાણી નથી પહોંચ્યા ત્યાં પણ અમે પહોંચાડીશું.

લોકોએ ભાજપની જીત પાક્કી કરી છે – PM મોદી

વડાપ્રધાન મોદીએ બનાસકાંઠાના કાંકરેજમાં સભા સંબોધન કરતા કહ્યું કે, પ્રથમ તબક્કામાં જનતાએ ભાજપનો ડંકો વગાડી દીધો. લોકોએ ભાજપની જીત પાક્કી કરી છે. ભાજપ તમામ રેકોર્ડ તોડવાની છે. તો વધુમાં કહ્યું કે, હું કાશીનો સાંસદ છું પશુપાલનું કામ જાણ છું. દેશમાં જેટલુ અનાજનું ઉત્પાદન થાય છે તેનાથી વધારે ઉત્યાદન દૂધનું થાય છે. બનાસ ડેરીના બ્રાન્ચ પણ હવે કાશીમાં બની રહી છે.

કોંગ્રેસને જેમાં પોતાનુ ભલુ ન દેખાય એ કામ કરતા જ નહોતા – PM મોદી

આજે સમગ્ર દેશમાં બનાસકાંઠાને બટાકાના કારણે ઓળખ મળી. તો દાડમના કારણે પણ બનાસકાંઠાની ઓળખ વધી છે. જે કહું એ કરવાનું જ એનુ નામ મોદી. તો કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસને જેમાં પોતાનુ ભલુ ન દેખાય એ કામ કરતા જ નહોતા. તો વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે કામ કર્યું હોય તો મત આપજો. એક સમયે એવી સિસ્ટમ હતી કે લાંચ વગર કામ નહોતા થતા. ભ્રષ્ટાચારીઓ સામે પગલા લીધા તો કેટલાકના પેટમાં તેલ રેડાયુ.

તમે આશીર્વાદ આપો એટલે વધુ સારી રીતે કામ કરીએ – PM મોદી

તો વધુમાં PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસના રાજમાં કરોડો રૂપિયાની કટકી થકી. પહેલા 4 કરોડ એવા વ્યક્તિના નામે રાશન કાર્ડ હતુ, જેનો જન્મ જ નહોતો થયો. ગરીબોનું અનાજ 4 કરોડ લોકો ખાઈ જતા હતા. ભાજપ સરકારે 20 કરોડ રાશન કાર્ડને આધાર સાથે જોડી દીધા. 80 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ આપ્યુ. કોરોનામાં દરેક વ્યક્તિને મફત રસી આપી. કોરોના કાળમાં દેશમાં એક પણ વ્યક્તિ ભૂખ્યો સુવે નહીં તેની ચિંતા કરી.

મહેસાણા જિલ્લામાં નવો ઉદય થવાનો છે – PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું તમારી વચ્ચે જ મોટો થયો છું. સન્માન નિધીમાં કોઈ પણ પ્રકારની કટકી ન થાય તે પ્રમાણે વ્યવસ્થા કરી. સીધા ખેડૂતોના ખાતામાં જ પૈસા જમા થાય છે. વધુમાં ઉમેર્યું કે, મહેસાણા જિલ્લામાં નવો ઉદય થવાનો છે. અંબાજીના વિકાસથી લાખો લોકોને રોજગારી મળી.