ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પારો ગરમી પકડી રહ્યો છે. એકબીજા પક્ષમાંથી આવાગમનની આયારામ ગયારામની નીતિ તો જોવા મળી જ રહી છે ત્રણેય પક્ષમાં અસંતોષની સાથે સાથે નારાજગીનું વાતાવરણ તો છે તેની વચ્ચે ડેમેજ કંટ્રોલની સાથે સાથે ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ પણ ગુજરાતમાં સતત હાજરી નોંધાવીને ગુજરાતની જનતાને પોતે શ્રેષ્ઠ હોવાની સાબિતી આપી રહ્યા છે. સતત અઢી દાયકાથી શાસન કરતા ભાજપના મોવડીઓ અને સ્ટાર પ્રચારકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોમ ગ્રાઉન્ડ પર જીતવાનું તો નક્કી જ છે પરંતુ વધુને વધુ બેઠકો વધારવા માટે ઝંઝાવાતી પ્રચારમાં જોડાયા છે. જેને અનુલક્ષીને તેમણે ગત સાંજે હળવા મૂડમાં કાર્યકરો સાથે કમલમ ખાતે બેઠક કરી હતી. ગુજરાતમાં પરિસ્થિતિ એવી છે કે ભાજપને અઢી દાયકાથી વિજેતા રહેવાની આદત પડી ગઈ છે તો સૂકાન વિનાની કોંગ્રેસ હાલકડોલક પરિસ્થિતિમાં છે જ્યારે આપ પાર્ટી ગુજરાતમાં કરો યા મરોની સ્થિતિમાં જીવ પર આવી ગઈ છે.
તો બીજી તરફ ચૂંટણીમાં વિજેતા રહેવાની વ્યૂહરચનાના માસ્ટર માઇન્ડ ગણાતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દક્ષિણ ગુજરાતમાં મોરચો સંભાળ્યો હતો. આદિવાસી વનવાસી પ્રજાથી માંડીને સૌરાષ્ટ્રમાં પાટીદાર, કોળી પટેલો, ક્ષત્રિય , ખારવા સમાજ તેજમ યુવાપેઢી સહિતના મતો અંકે કરીને ભાજપની બેઠકો વધારવાની ચોક્કસ વ્યૂ રચના ભાજપ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. તે વ્યૂહ રચનાના ભાગ રૂપે આજે PM મોદીની ગુજરાત મુલાકાતના ત્રીજા દિવસે 3 મહાસભાઓ સંબોધશે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતમાં મતદારોને રિઝવવા ધૂંઆધાર ચૂંટણી પ્રચાર કરશે. તેઓ સુરત જિલ્લાના મહુવાના પાંચકાકડા ખાતે જાહેરસભાને સંબોધન કરશે. જોકે ગુજરાતના ચૂંટણી ચિત્રને જોતા લાગે છે કે રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓએ ગુજરાતમાં સંપૂર્ણ તાકાત લગાવીને પ્રચારમાં ઝંપલાવવું જોઈએ, કારણ કે ગ્રાઉન્ડ લેવેલ જે નેતા મજબૂત છે તેના દ્વારા જ કોંગ્રેસ ગુજરાતમાં શ્વાસ લઈ રહી છે કોંગ્રેસના આવા મજબૂત ધારાસભ્યોમાં પરેશ ધાનાણી, અંબરીષ ડેર, જગદીશ ઠાકોર જેવા ગણતરીના નામ જ છે આવા સંજોગોમાં કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ અલપઝલપ ગુજરાતમાં મોં બતાવી જાય ત્યારે ગુજરાતની જનતા પણ વિચાર કરી શકે તેટલી સ્પષ્ટ બની ગઈ છેકે કોના હાથમાં સત્તાની ધૂરાં સોંપવી. કોંગ્રેસ માટે ‘સમય વર્તે સાવધાન’નો સમય તો વિતી જ ગયો છે પરંતુ હજી પણ જો કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ જાગશે નહીં તો ભાજપના ‘કોંગ્રેસ મુક્ત ગુજરાત’ ના નારાને વાસ્તવિકતા બનતા હવે વાર લાગે તેમ નથી.
તો ગુજરાતના મત અંકે કરવા દિલ્લીના મુખ્ય પ્રધાન કેજરીવાલે પણ ગુજરાતમાં રણસંગ્રામમાં ઉતર્યા છે અને વારંવાર ગુજરાતની જનતા વચ્ચે પોતાની હાજરી નોંધાવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ચૂંટણીનો પારો ચરમસીમાએ છે ત્યારે ફરી એક વાર અરવિંદ કેજરીવાલ, રાઘવ ચઢ્ઢા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતમાં રેલીઓ અને સભા કરી રહ્યા છે. AAP માટે ગુજરાતમાં હાલમાં એવી સ્થિતિ છે કે સતતત પોતાની હાજરી નોંધવતા આપના નેતાઓના પ્રચારને કારણે જો સૌરીષ્ટ્ર કે સુરતમાં થોડી બેઠકો પણ મળી જાય છે તો તેના માટે તો ફાયદો જ છે અને તેના માટે આપના નેતાઓ કોઈ કસર રાખવા માંગતા નથી. દરમિયાન આપના નેતાઓ પણ સતત ચાર દિવસ ગુજરાતમાં ધામા નાખ્યા છે. કેજરીવાલ ખંભાળિયામાં આપના મુખ્યમંત્રીના ચહેરા એવા ઇસુદાન માટે પ્રચાર કરશે.
Published On - 8:37 am, Mon, 21 November 22