Gujarat Election 2022: કોંગ્રેસે ભાજપ સામે જાહેર કર્યું 21 મુદ્દાનું તહોમતનામુ

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે મોરબી હોનારત અને બરવાળા ઝેરી દારૂકાંડ પાછળ સરકાર જવાબદાર છે. ભાજપની નીતિ લોકોને ગુમરાહ કરવાની રહી છે. 

Gujarat Election 2022:  કોંગ્રેસે ભાજપ સામે જાહેર કર્યું 21 મુદ્દાનું તહોમતનામુ
Gujarat Election 2022
| Edited By: | Updated on: Nov 06, 2022 | 2:22 PM

વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજ્યમાં માહોલ ગરમ છે.દરેક પક્ષ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ લગાવી રહ્યો છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે આક્ષેપ સાથે ભાજપ સરકાર સામે 21 મુદ્દાનું આરોપનામું રજૂ કર્યું છે.  કોંગ્રેસે સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવતા કુલ 36 પાનાનું તહોમતનામુ તૈયાર કરવામાં આવ્યું છે. આ તહોમતનામાના અલગ અલગ 21 મુદ્દા છે જેમાં વિગતવાર તમામ મુદ્દા અંગે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસના શાસન સમયની પરિસ્થિતિ સામે ભાજપ સરકારના શાસનમાં ગુજરાતની હાલતની સરખામણી કરવામાં આવી છે.

આ અંગે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે મોરબી હોનારત અને બરવાળા ઝેરી દારૂકાંડ પાછળ સરકાર જવાબદાર છે. ભાજપની નીતિ લોકોને ગુમરાહ કરવાની રહી છે.  આ આરોપનામામાં બેરોજગારી, પેપરલીક કાંડ, ઉદ્યોગોની સમસ્યા સહિતના મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદમાં ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે ચૂંટણીના માહોલમાં જનતા પણ કયા પક્ષને જીતાડવો તે સમજી ગઈ છે અમે એક મહિના પછી બહુમતી સાથે સરકાર બનાવીશું. રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. જનતા જનાર્દન આ વખતે પ્રજા બધી જ બાબતોને સારી રીતે જાણે છે. રાજકીય પક્ષ તરીકેની અમારી ભૂમિકા સાચી વાત રજૂ કરવાની છે. માટે જ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી સામે તહોમતનામું મૂકી રહી છે. જનતાના સહકારથી અમે એક મહિના પછી સરકાર બનાવીશું, ત્યારે પ્રજાને યોગ્ય સાબિત થવા માટે અમે પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ.

દરમિયાન કોંગ્રેસે વિવિધ સ્થળે સંભવિત ઉમેદવાર જાહેર કરતા કેટલાક સ્થળોએ  નારાજગી પણ વ્યક્ત  થઈ રહી છે.  માણાવદરના ઉમેદવાર અરવિંદ લાડણી સામે નારાજગી જોવા મળી છે. આ નારાજગી વ્યક્ત કરતા વંથલી શહેર અને તાલુકાના હોદેદારોએ સામૂહિક રાજીનામા આપ્યા છે અને હજુ અન્ય તાલુકાઓમાંથી વધુ રાજીનામા પડે તેવી શક્યતાઓ છે. નારાજગી વ્યક્ત કરતા  કાર્યકરોએ  કોંગ્રેસ કાર્યાલયમાં રામધૂન  બોલાવીને  26 હોદેદારો સહિત કાર્યકરોએ જિલ્લા મંત્રીને રાજીનામું આપ્યું હતું.

Published On - 2:10 pm, Sun, 6 November 22