ગુજરાત ઇલેક્શન 2022: કતારગામમાં કેજરીવાલના રોડ શો દરમિયાન AAPના કાર્યકર્તાઓએ ડિવાઇડર તોડી નાખ્યા હતા. આ ઘટનામાં આપ પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી સહિત 3 થી વધુ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રદેશ સંગઠન મંત્રી રજનીકાંત વાઘાણ તેમજ પિયુષ વરસાણી, તુલસી લલૈયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગત રોજ ધનમોરા ચાર રસ્તા નજીક રોડ શો માટે ડિવાઇડર બનાવવામાં આવ્યા હતા જે કાર્યકરોએ તોડી નાખ્યા હતા. આ ઘટનામાં કતારગામ પોલીસે સુરત મહાનગર પાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયરની ફરિયાદના આધારે આ લોકો સામે ગુનો દાખલ કર્યો છે.
સુરતના કતારગામમાં AAPના કાર્યકર્તાઓની દાદાગીરી સામે આવી હતી. કતારગામ ધનમોરા વિસ્તારમાં કેજરીવાલની રેલી માટે AAPના કાર્યકર્તાઓએ ડિવાઈડર તોડી નાખ્યા હતા. મનપાને ફરિયાદ મળતા SMCના અધિકારીઓ ફરી ડિવાઈડર બનાવવા પહોંચ્યા હતા. જ્યાં AAP અને મનપાના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને AAPના કાર્યકર્તાએ આક્રોશમાં આવી દાદાગીરી સાથે ડિવાઈડર બનાવવાના સાધનો તોડી નાખ્યા હતા. તંત્રની કામગીરી રોકવાના મુદ્દે પોલીસે AAPના કાર્યકરોને ડિટેન કર્યા હતા. નોધનીય છે કે સુરતમાં આમ આદમી પાર્ટીના રોડ શોમાં પથ્થરમારો પણ થયો હતો.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગત રોજ સુરતની મુલાકાતે હતા અને સુરતના મીની બજાર ચોકસી બજાર ખાતે હીરા વેપારી સાથે સંવાદનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં વેપારીઓ પાસે મૂંઝવતા પ્રશ્નોની યાદી લેવામાં આવી હતી. તેઓને મૂંઝવતા પ્રશ્નો લેખિતમાં લેવામાં આવ્યા હતા અને તે અંગે સરકાર જો આમ આદમી પાર્ટીની બને તો કઈ રીતનું નિરાકરણ કરી શકાય તેના જાહેરાત કરી હતી.
ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
ઈલેક્શનને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો