ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: ગત રોજ રાજ્યમાં પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન સંપન્ન થયું છે અને રાજ્યમાં કુલ 62.89 ટકા મતદાન થયું છે. ત્યારે બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજાવાની છે અને તેનો પ્રચાર તારીખ 3 ડિસેમ્બરના સાંજે 5 વાગ્યાથી બંધ થશે તે પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટીના કદાવર નેતાઓ ગુજરાતમાં વિવિધ સ્થળે સભા કરીને મતદારોને પોતાના પક્ષને મત આપવા અપીલ કરશે અને સ્થાનિક ઉમેદવારોનો પ્રચાર પણ કરશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તો ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે તેની સાથે સાથે સ્મૃતિ ઇરાની , પરષોતમ રૂપાલા જેવા કેન્દ્રીય મંત્રીઓ પણ ગુજરાતમાં સભાઓ ગજવશે. તો કોંગ્રેસના નેતાઓ પણ પ્રચારકાર્યમાં જોડાશે.
રાજ્યમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં સરેરાશ મતદાન થયું છે ત્યારે બીજા તબક્કામાં મતદારો ઉત્સાહ સાથે મતદાન કરે તે માટે આજે અને આવતીકાલે પાંચ વાગ્યા સુધી વિવિધ પક્ષોના ઉમેદવારો અને દિગગ્જ નેતાઓ ચૂંટણી સભાઓ ગજવીને આર પારનો પ્રચાર કરશે. ભાજપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા તબક્કાની ચૂંટણીના પ્રચારની કમાન પોતાના હાથમાં લીધી છે. આજે પણ પીએમ મોદી ઝંઝાવાતી પ્રચાર કરશે. આ વખતનો ચૂંટણીનો માહોલ જોતા લાગી રહ્યું છે કે નેતાઓ અને ઉમેદવારો મતદાતાઓનું મન કળી શકયા નથી ત્યારે ચૂંટણી પરિણામના દિવસે જ સાચી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે. જોકે મતદારો નિરાશ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે ત્યારે બીજા તબક્કા માટે પૂરજોશમાં મતદાન થાય તે માટે આજથી માંડીને આવતીકાલ સાંજ સુધીમાં તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓ છેલ્લી ઘડી સુધી પ્રચાર કરશે.
રાજ્યમાં બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે.
Published On - 10:04 am, Fri, 2 December 22