Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે પ્રથમ તબક્કાથી ચૂંટણીમાં થયેલા ઓછા મતદાન બાદ આજે બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. આ વખતે મતદારોમાં મતદાનને લઇને ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. મતદારો મોટી સંખ્યામાં મતદાન કેન્દ્રો ઉપર ઉમટી રહ્યા છે. ત્યારે દિગ્ગજ નેતાઓ પણ મતદાનને લઇને મતદારોને અપીલ કરી રહ્યા છે.
ગુજરાતની જનતા પરિવર્તન ઇચ્છે છે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે : ભરત સોલંકી
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરત સોલંકીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ નેતા ભરત સોલંકીએ ટીવી9 સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું કે મતદારોમાં રહેલો ભારે ઉત્સાહ કોંગ્રેસ તરફી મત દર્શાવે છે. ગુજરાતના મતદારો ભાજપના શાસનથી કંટાળી ગયા હોવાનું ભરત સોલંકીએ ઉમેર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતની જનતા મોંઘવારી, બેરોજગારી જેવા પ્રશ્નોથી કંટાળી ગઇ છે. અને, 8મી ડિસેમ્બરે આવનાર ચૂંટણી પરિણામો કોંગ્રેસ તરફી છે. કોંગ્રેસ રાજયમાં સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે તેવો આશાવાદ પણ ભરતસિંહ સોલંકીએ વ્યક્ત કર્યો છે.
આ ઉપરાંત ટીવી9 સાથેના ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં પણ મતદારોએ કોંગ્રેસને મતો આપ્યા છે. અને, ભાજપનો હવે સફાયો થઇ જશે. ભારતીય જનતા પાર્ટીને માનનારા વર્ગો પણ હવે શાંત પડી ગયા છે. મતદારોમાં ભાજપ પ્રત્યે નિરાશા વ્યાપી ગઇ છે. અને, મતદારો હવે સ્પષ્ટ પરિવર્તન ઇચ્છે છે. અને, મતદારોમાં દેખાઇ રહેલો ઉત્સાહ પરિવર્તનની હવા દર્શાવી રહ્યું હોવાનું પણ સોલંકીનું માનવું છે.
નોંધનીય છેકે ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી માટે 93 બેઠકો પર મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. કુલ 14 જિલ્લામાં આ મતદાન યોજાયું છે. જો વિગતવાર મતદાનની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ ,અરવલ્લીનો સમાવેશ થાય છે. જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા ,આણંદ, ખેડા ,પંચમહાલ, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં મતદાન થઇ રહ્યું છે..
Published On - 12:42 pm, Mon, 5 December 22