Gujarat Vidhansabha Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કામાં 63.14 ટકા મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 93 બેઠક પર 64.39 ટકાથી વધુ મતદાન થયું છે. મતદાન બાદ હવે ગુજરાતની જનતાની નજર 8 ડિસેમ્બરે આવનારા પરિણામ પર છે. ગત ચૂંટણી કરતા આ ચૂંટણીમાં નિરસ મતદાન જોવા મળ્યું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં કોણ બાજી મારે છે તેના પરથી તો 8 ડિસેમ્બરે જ પડદો ઉઠશે. જો કે TV9 ના એક્ઝિટ પોલમાં ફરી ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે. ભાજપને 125થી 130 બેઠક ચૂંટણીમાં મળી શકે છે. જ્યારે કોંગ્રેસ 40થી 50 વચ્ચે સમેટાઈ શકે છે તો AAP ને 3થી 5 બેઠક મળી શકે છે. એટલે કે ફરી ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ ભાજપનું પ્રદેશ મીડિયા સેન્ટર હટાવાયુ છે. ભાજપનાં હાઈ ટેક મીડિયા સેન્ટર ખાતે અદ્યતન સુવિધાઓ ઊભી કરાઇ હતી. અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અહીં ચૂંટણીલક્ષી કામ કરતા હતા. ભાજપની મીડિયા સંબધિત તમામ કામગીરી ફરી એકવાર કમલમ ખાતે ટ્રાન્સફર કરાઈ છે.
મતદાન પૂર્ણ થયા બાદ હવે વડોદરા જિલ્લા અને શહેરની 10 બેઠકોની મતગણતરીની તૈયારીઓ શરૂ કરાઈ છે. પોલીટેકનિક કોલેજમાં મતગણતરી થવાની હોવાથી ગેટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોલેજમાં તમામ EVM લાવી દેવામાં આવ્યા છે. અને CCTV કેમેરા પણ ગોઠવી દેવાયા છે.
વડોદરાની સાવલી નગરપાલિકાના મહિલા કોર્પોરેટર સામે બોગસ મતદાન કર્યાની ફરિયાદ થઈ છે. સાવલી પાલિકાના વોર્ડ નંબર 6ના મહિલા કોર્પોરેટરે વિદેશમાં રહેતી મહિલાના નામે બોગસ મતદાન કર્યું હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. આ મુદ્દે સાવલી પાલિકાના વિપક્ષના નેતા હસુ પટેલે ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરીને કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.
નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી વચ્ચે પણ કેટલાક ઉમેદવારોને ચૂંટણી પ્રક્રિયા પર જાણે કે ભરોસો ન હોય તેમ લાગી રહ્યું છે. નર્મદામાં રાજપીપળા ખાતે અપક્ષ ઉમેદવારના ટેકેદારોએ EVM સ્ટ્રોંગ રૂમ બહાર પોતાની CCTV થી સજ્જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. અપક્ષ ઉમેદવારના ટેકેદારે આક્ષેપ કર્યો છે કે બે દિવસ પહેલા નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી શંકાસ્પદ ગાડી સ્ટ્રોંગ રૂમની પાસે શંકાસ્પદ અવરજવર કરતી જોવા મળી હતી. શંકાસ્પદ ગાડીની અવરજવરને જોતા અગમચેતીના ભાગરૂપે આ ખાનગી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હોવાનું તેમને જણાવ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાની 05 વિધાનસભા બેઠકોની મત ગણતરી દરમિયાન ફરજ બજાવનાર કર્મચારીઓની તાલીમ શિબિર યોજાઈ. વઢવાણ 80 ફૂટ રોડ પર આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે જીલ્લા કલેકટર કે.સી.સંપટની અધ્યક્ષતામાં તાલીમ આપવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, 105 સુપરવાઈઝર, 105 કાઉન્ટીંગ આસિસ્ટન્ટ અને 105 માઈક્રો ઓબઝર્વર સહિત કુલ 315 કર્મચારીઓ મત ગણતરી દરમિયાન ફરજ બજાવશે. આ તાલીમ દરમિયાન ધ્રાંગધ્રા, વઢવાણ, ચોટીલા, લીંબડી અને દસાડા વિધાનસભાના ચૂંટણી અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા.
મતદાન બાદ વાયરલ થયેલી ઓડિયો ક્લિપ મામલે કુંવરજી બાવળિયાએ ભાજપના જ નેતા પર ગંભીર આરોપ લગાવ્યા છે. ગજેન્દ્ર રામાણી પર આક્ષેપ લગાવતા કહ્યું, ચૂંટણીમાં ગજેન્દ્ર રામાણીએ મારી વિરુદ્ધ ખુલ્લેઆમ કામ કર્યું છે. ગજેન્દ્ર રામાણીની ટોળકી જય ભોલેનાથે સાંકેતિક ભાષામાં મારા વિરોધમાં કામ કર્યું છે અને કોંગ્રેસને મદદ કરી છે. અગાઉ પણ મારા વિરુદ્ધ કામ કરતા મેં રજૂઆત કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. હવે ઓડિયો ક્લિપ અંગે હું ભાજપ હાઈકમાન્ડને રજૂઆત કરીશ.
મતદાન બાદ હવે સૌ કોઈની નજર 8 ડિસેમ્બરે જાહેર થનારા પરિણામ પર છે. વિધાનસભા ચૂંટણીની મતગણતરી 8 તારીખે થવાની હોવાથી શહેર સહિત જિલ્લામાં મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વડોદરા જિલ્લા અને શહેરની 10 બેઠકોની મતગણતરી પોલીટેકનિક કોલેજમાં થશે. તો અમદાવાદમાં તમામ 21 બેઠકોની એલ ડી એન્જિનિયરિંગ, ગુજરાત કોલેજ અને પોલીટેકનિક કોલેજમાં મતગણતરી થશે. અને મતગણતરી કેન્દ્રો પર થ્રી-લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. આ તરફ ભાવનગરમાં ઈજનેરી કોલેજમાં મત ગણતરી થશે. બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં પોલીટેકનિક કોલેજમાં મતગણતરી થવાની હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
ગાંધીનગરની કલોલ વિધાનસભા ચૂંટણી દરમ્યાન ભાજપના કાર્યકર પર થયેલા હુમલા મામલે પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો છે. પોલીસે રાત્રિ દરમ્યાન કુલ 13 લોકોની ધરપકડ કરી છે. ગત રાત્રે હુમલાના વિરોધમાં મોટા પાયે લોકો એકત્ર થયા હતા. જે બાદ હવે સમગ્ર પંચવટી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ, SOG અને LCB દ્વારા અનેક શકમંદોની પૂછપરછ કરવામાં આવી. બીજી તરફ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ સમગ્ર ઘટનાની જાણકારી મેળવી છે. ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ બકાજી ઠાકોર સાથે ટેલિફોનિક વાતચીત કરી. હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ ઘટનામાં જે પણ દોષિત હશે તેને છોડવામાં નહીં આવે.
બંને તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે મતગણતરીને લઈને તૈયારીઓ આદરી દેવામાં આવી છે. ત્યારે ભાવનગરની સરકારી ઈજનેરી કોલેજ વિદ્યાનગરમાં પણ તૈયારીઓ શરૂ કરાઈ છે. 7 વિધાનસભા બેઠકની મતગણતરી માટે કુલ 7 રૂમ તૈયાર કરાયા છે. મતગણતરીની પ્રક્રિયામાં કુલ 350 કર્મચારીઓ જોડાશે. તો મત ગણતરી સ્થળે થ્રી લેયર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.
અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકો માટે અમદાવાદ શહેરમાં અલગ- અલગ 3 જગ્યાએ મત ગણતરી હાથ ધરાશે. હાલ મત ગણતરી કેન્દ્રો પર પોલીસ અને CRPF નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. થ્રી લેયર સુરક્ષામાં ગુજરાત પોલીસ, CRPF અને BSFની ટુકડી સુરક્ષામાં તૈનાત છે. તો સ્ટ્રૉન્ગ રૂમ બહાર CCTV કેમેરા પણ લગાવી દેવામાં આવ્યા છે.
બીજા તબક્કાના મતદાનમાં અમદાવાદમાં સૌથી ઓછુ અમદાવાદમાં થયુ છે. અમદાવાદ શહેર અને જિલ્લાની 5 કુલ 21 બેઠકો પર સરેરાશ 58. 32 ટકા મતદાન થયુ છે. જેમાં સૌથી વધુ ઘાટલોડિયામાં 59.62 ટકા મતદાન થયુ છે,જ્યારે
સૌથી ઓછું નરોડામાં 52.29 ટકા મતદાન થયુ છે. 2017 ની સરખામણીએ મતદાનમાં 8 ટકા જેટલો ધરખમ ઘટાડો
નોંધાયો છે.
ગઈકાલે બીજા તબક્કાના મતદાન દરમિયાન ગાંધીનગરના કલોલમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકર્તા વચ્ચે બબાલની ઘટના સામે આવી હતી. ત્યારે સ્થાનિક પોલીસ, SOG અને LCB એ ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
શંકાસ્પદોને પકડીને હાલ પોલીસે પુછપરછ શરૂ કરી છે.
ગુજરાતમાં બંને તબક્કાના મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રેકોર્ડબ્રેક બહુમતીથી ભાજપનો વિજય થવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. મતદાન બાદ પાટીલે જણાવ્યું કે ગુજરાતમાં મતદારોએ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેના કારણે ભાજપને અપેક્ષા કરતા પણ વધુ બેઠકો મળશે.
બીજા તબક્કાના મતદાન બાદ ખેડબ્રહ્મા ભાજપ ઉમેદવાર અશ્વિન કોટવાલે ઉત્તર ગુજરાતની તમામ બેઠક પર કેસરિયો લહેરાવવાનો દાવો કર્યો છે. કોટવાલે કહ્યું કે PM મોદીએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ પદે આદિવાસીઓને બેસાડી ગૌરવ વધાર્યું છે. તો વધુમાં કહ્યું કે આદિવાસીઓએ ભાજપને ભરપૂર સમર્થન આપ્યુ છે.
મધુ શ્રીવાસ્તની ટિકિટ કાપીને ભાજપે વડોદરાની વાઘોડિયા બેઠક પરથી અશ્વિન પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. જે પછી મધુ શ્રીવાસ્તવે ટિકિટ કપાતા તેમણે ભાજપમાંથી રાજીનામુ આપી દીધુ હતુ. ત્યારે દબંગ નેતા તરીકેની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે વાઘોડીયા બેઠક પર અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે બીજા તબક્કામાં વડોદરામાં મતદાન પૂર્ણ થયા બાદ મધુ શ્રીવાસ્તવે જીતનો દાવો કર્યો છે. સાથે જ મધુ શ્રીવાસ્તવે કહ્યુ હતુ કે જો હું ચૂંટણીમાં જીતીશ તો પણ અપક્ષમાં જ રહીશ. કોઈ પાર્ટીમાં જોડાવુ કે નહીં તે અંગે મારા કાર્યકર્તા કહેશે તે પ્રમાણે નિર્ણય લઇશ.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયુ છે. જો મતદાનની ટકાવારીની વાત કરીએ તો કુલ 64.39 ટકા મતદાન થયુ છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં 70.95 ટકા મતદાન નોંધાયુ છે. તો સૌથી ઓછુ મતદાન અમદાવાદમાં 58.32 ટકા નોંધાયુ છે. આપને જણાવી દઈએ કે, ગત વિધાનસભા ચૂંટણી કરતા આ વખતે મતદાન એકંદરે ઓછુ થયુ છે.
Published On - 9:44 am, Tue, 6 December 22