ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ની જાહેરાત થતા જ અમદાવાદ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો ચૂસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના નિર્દેશ મુજબ શહેર-જિલ્લાના વિધાનસભા વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા સમિતિ સક્રિય થઈ ગઈ છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં બે દિવસમાં જ સરકારી તથા ખાનગી ઈમારતો પરથી આશરે 52,375 પ્રચારાત્મક સામગ્રી દૂર કરી દેવામાં આવી છે. આચાર સંહિતા અમલના 24 કલાકમાં અમદાવાદ શહેર અને જિલ્લામાંથી 25,028 જેટલી પ્રચારાત્મક સામગ્રી હટાવાઇ છે.
ચૂંટણી જાહેરાતના બે દિવસમાં જ અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ધવલ પટેલેના નિર્દેશ મુજબ આચારસંહિતા સમિતિની ચૂસ્ત કામગીરી શરૂ કઈ દેવાઈ છે. જેમાં શહેર અને જિલ્લામાં બે દિવસમાં જ સરકારી તથા ખાનગી ઈમારતો પરથી આશરે 52,375 પ્રચારાત્મક સામગ્રી દૂર કરી દેવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત બીજા દિવસે પણ 25,090 જેટલી પ્રચારાત્મક સામગ્રીઓ દૂર કરવામાં આવી છે. તે સિવાય વિવિધ પોલિટિકલ પાર્ટીના ખર્ચ. નાણાકીય હેરફેર સહિત વિવિધ બાબતો પર નજર રાખવા ફ્લાઈંગ સકોર્ડ એક્ટિવ કરી દેવાઈ છે. સાથે સી વિઝીલ એપ્લિકેશન પણ શરૂ કરી દેવાઈ છે. જેની અંદર મોડલ પ્રોડક્ટ કંડક્ટ બાબતની વાયોલેશનની ફરિયાદો લોકો પોતે રજુ કરી શકે છે અને એને સમય મર્યાદામાં જ નિકાલ થઇ શકે છે, જેથી આદર્શ આચારસંહિતાનો ભંગ ન થાય.
અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ધવલ પટેલની સૂચના તથા ચીફ નોડલ ઓફિસર એ.એમ. દેસાઈના માર્ગદર્શન મુજબ તથા આદર્શ આચાર સંહિતા સમિતિના અમદાવાદ શહેરના નોડલ અધિકારી રામ્યાકુમાર ભટ્ટ તથા અમદાવાદ ગ્રામ્યના નોડલ અધિકારી એચ.આઈ. પટેલના નિરીક્ષણ હેઠળ શહેર તેમજ જિલ્લામાં જાહેર સ્થળો, સરકારી ઈમારતો તેમજ ખાનગી ઈમારતો પરથી સરકારી જાહેરાતો તથા રાજકીય લખાણોવાળા પોસ્ટર, બેનર, ઝંડીઓ ઉતારવાની, દીવાલ પરના લખાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બે દિવસમાં અમદાવાદના કુલ 21 વિધાનસભા મત વિસ્તારોમાંથી કુલ 52,375 પ્રચારાત્મક સામગ્રી દૂર કરી નાંખવામાં આવી છે. જેમાં સરકારી મિલકતો પરથી 30,975 દીવાલો પરના લખાણો ભૂંસી નંખાયા છે, તો 9458 પોસ્ટર્સ તથા 5696 બેનર્સ તેમજ 3989 જેટલી અન્ય પ્રચારાત્મક સામગ્રી મળીને કુલ 50,118 સામગ્રી દૂર કરી નાંખવામાં આવી છે. જ્યારે જિલ્લાની ખાનગી મિલકતો પરથી પણ 1382 દીવાલ પરના લખાણો, 401 પોસ્ટર્સ, 316 બેનર્સ, 158 અન્ય મળીને કુલ 2257 જેટલી પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. આમ, નિષ્પક્ષ અને ભયમુક્ત માહોલમાં ચૂંટણી યોજવાની પ્રતિબદ્ધતા સાથે જિલ્લા ચૂંટણી તંત્ર સતત સક્રિયપણે આ કાર્ય કરી રહ્યું છે.
આમ જિલ્લા તંત્ર દ્વારા વિધાનસભા ચૂંટણીને લઈને પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને જો કોઈએ આદર્શ આચારસંહિતાનો ભંગ કરશે તો તેઓએ કાયદાકીય પ્રક્રિયા માંથી પણ પસાર થવા તૈયાર રહેવું પડશે તે નક્કી છે. કેમ કે તંત્ર આવા લોકોને બક્ષવાના કોઈ મૂળમાં નથી.