CR પાટીલે TV9 ગુજરાતી સાથે કરી ખાસ વાતચીત, કહ્યું PMના મિશન 150ને પૂર્ણ કરવા માટે ગુજરાત ભાજપ સજ્જ

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યુ કે ભાજપ પીએમ મોદીના મિશન 150ને પૂર્ણ કરશે અને રેકોર્ડ સ્થાપિત કરશે. ટિકિટ પસંદગીમાં ભાજપે મહિલા, શિક્ષિત અને યુવાનોને ઉમેદવાર પસંદગીમાં ખાસ પ્રાધાન્ય આપ્યુ હોવાનું જણાવ્યુ.

CR પાટીલે TV9 ગુજરાતી સાથે કરી ખાસ વાતચીત, કહ્યું PMના મિશન 150ને પૂર્ણ કરવા માટે ગુજરાત ભાજપ સજ્જ
C. R. Patil
| Edited By: | Updated on: Nov 10, 2022 | 9:38 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ભાજપે તેમના 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ એ Tv9 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી. પાટીલે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મિશન 150, આમ આદમી પાર્ટીના પ્રભાવ અને મોરબી દુર્ઘટનાની ચૂંટણી પર અસર અંગે પણ વાત કરી છે. પાટીલે જણાવ્યુ કે જ્યારે પીએમ મોદીએ જણાવ્યુ છે કે આ ચૂંટણીમાં ગુજરાત વધુ એક રેકોર્ડ સ્થાપિત કરશે તેનો પ્રતિસાદ ભાજપના કાર્યકર્તાઓ આપશે. પીએમની જે રેકોર્ડ બનાવવાની ઈચ્છા છે તે પુરી કરશે. આ ચૂંટણીમાં ભાજપ સૌથી વધુ મતો મેળવશે અને સૌથી વધુ બેઠકો પણ જીતશે તેવો આત્મવિશ્વાસ પાટીલે વ્યક્ત કર્યો હતો.

27 એસટી સીટ પૈકી 24 સીટ જાહેર કરાઈ છે. બાકીની ત્રણ એસટી બેઠકો કોંગ્રેસમાંથી આવી રહેલા નેતાઓ માટે બાકી રખાઈ છે કે કેમ તેના પર પાટીલે જણાવ્યુ કે અમે ક્યારેય કોઈની રાહ નથી જોતા, ભાજપ પાસે લાખો કાર્યકર્તાઓ છે જે લડીને જીતી શકે છે તો કોઈ માટે સીટ બાકી રાખવાનો સવાલ જ નથી. આમ આદમી પાર્ટી અંગે પાટીલે જણાવ્યુ કે સોશિયલ મીડિયામાં આપની ઘણી મહેનત છે. પરંતુ તેને વોટમાં કન્વર્ટ કરવા માટે કંઈ નથી કરતા.

બીટીપી સાથેના ગઠબંધન અંગે વાતચીત ચાલી રહી છે કે કેમ તેના જવાબમાં પાટીલે જણાવ્યુ કે એવી કોઈ વાત નથી. ભાજપ કોઈ ગઠબંધન પર ભરોસો નથી કરતુ, ભાજપ માત્ર પોતાના કાર્યકરોના ભરોસે ચૂંટણી લડે છે. 14 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવા અંગે તેમણે જણાવ્યુ કે ભાજપ હંમેશા સહુને સાથે લઈને ચાલે છે. જેમાં યુવાનો, શિક્ષિતો, ખેડૂતો, મહિલાઓ સહિતના તમામને તક આપવામાં આવે છે. મહિલા, શિક્ષિત અને યુવાનોને ઉમેદવારોની પસંદગીમાં ખાસ પ્રધાન્ય આપવામાં આવ્યુ છે.

મોરબીની દુર્ઘટના અંગે સી.આર.પાટીલે જણાવ્યુ કે જે પૂલ તૂટ્યો તે ભાજપની સરકારે નથી બનાવ્યો. લોકોના મનમાં એવુ છે કે 150 વર્ષ જૂનો અંગ્રેજોના સમયમાં બનેલો પૂલ અને તેને ઓપરેટ કરનારી એજન્સી પણ ખાનગી છે. દુર્ઘટના સમયે પણ ભાજપે ત્રણેય દળોના જવાનોને ત્યાં મોકલી આપ્યા હતા. તેમણે યુદ્ધના ધોરણે રેસક્યુ કામગીરી કરી, મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીને પણ તેમણે ત્યાં તાત્કાલિક મોકલ્યા હતા અને તમામ કામગીરીનો ચિતાર મેળવ્યો હતો.