
રાજ્યમાં દિવાળીના (Diwali) પર્વને લઇને ઉત્સાહનો માહોલ છે, તો બીજી તરફ ચૂંટણીના (Gujarat Assembly Election) પડઘમ વચ્ચે નેતાઓની રાજકીય મુલાકાતો પણ ચાલી રહી છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને ભૂપેન્દ્ર પટેલ સોમનાથની મુલાકાતે છે. કાજલી APMC ખાતે અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel) જિલ્લા ભાજપના અગ્રણીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં અપેક્ષિત કાર્યકરોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. બેઠકમાં કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપી જરૂર સૂચનો કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપ (BJP) સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ખુદ ગૃહમંત્રી અમિત શાહ તેમની 6 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન ઝોન વાઈઝ બેઠકો કરી રણનીતિ ઘડી રહ્યા છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ જશે. જ્યાં સ્થાનિક ભાજપના નેતાઓ સાથે બેઠક યોજશે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સામેલ થશે.
અમિત શાહના ગુજરાતમાં પ્રવાસની જે રણનીતિ બનાવવામાં આવી છે, તેમાં ઝોન મુજબ બેઠકો યોજવામાં આવી રહી છે. જે અંતર્ગત સૌપ્રથમ તેમણે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં બેઠકો યોજી હતી અને દક્ષિણ ગુજરાતની (Gujarat) 35 બેઠકો જીતવા રણનીતિ ઘડવામાં આવી. ત્યારબાદ તેઓ મધ્યગુજરાતમાં તેમણે વડોદરામાં પાર્ટીના હોદ્દેદારો સાથે મંથન કર્યુ હતુ. જેમાં મધ્ય ગુજરાતની તમામ બેઠકો જીતવાનો લક્ષ્યાંક આપ્યો હતો. મધ્ય બાદ ગઈકાલે અમિત શાહ ઉત્તર ગુજરાત પહોંચ્યા હતા. જ્યાં બનાસકાંઠાના પાલનપુરમાં સવારના 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી બેઠકોનો દોર ચાલ્યો હતો. અહીં અમિત શાહે ઉત્તર ગુજરાતની (North Gujarat) તમામ 59 બેઠક જીતવાના લક્ષ્યાંક સાથે કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો હતો. હવે સૌરાષ્ટ્રના એપી સેન્ટર સમાન ગણાતી સોમનાથ બેઠકો પર અમિત શાહ મંથન કરશે.