Gujarat Election 2022 : સૌરાષ્ટ્ર બેઠકોના પરિણામ નક્કી કરશે રાજકીય પાર્ટીઓની દિશા અને દશા, પ્રથમ તબક્કામાં 89 બેઠકનો જંગ રહેશે નિર્ણાયક

એવું કહેવાય છે કે જો ગુજરાતની 'ગાદી' જીતવી હોય તો સૌરાષ્ટ્રને સર કરવું પડે. ગુજરાતની દરેક વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર હંમેશા નિર્ણાયક રહ્યું છે.

Gujarat Election 2022 : સૌરાષ્ટ્ર બેઠકોના પરિણામ નક્કી કરશે રાજકીય પાર્ટીઓની દિશા અને દશા, પ્રથમ તબક્કામાં 89 બેઠકનો જંગ રહેશે નિર્ણાયક
Gujarat Election 2022
| Updated on: Nov 16, 2022 | 7:13 AM

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ચૂંટણીની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે અને બે તબક્કામાં મતદાન યોજાશે. જો કે તેમાં પણ પ્રથમ તબક્કાનું મતદાન નિર્ણાયક સાબિત થશે. કારણ કે આ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે જો ગુજરાતની ‘ગાદી’ જીતવી હોય તો સૌરાષ્ટ્રને સર કરવું પડે. દરેક વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર હંમેશા નિર્ણાયક રહ્યું છે.

સૌરાષ્ટ્રને સર કરનાર મેળવશે ગુજરાતની ‘ગાદી’

ગુજરાત ઈલેક્શન 2022 :  જો વિગતે વાત કરીએ તો કુલ 182 બેઠકોમાં સૌરાષ્ટ્ર અને કચ્છની મળીને કુલ 54 બેઠકો છે. જેમાં સૌરાષ્ટ્રની 48 બેઠકો પૈકી 2017 માં ભાજપને 19 બેઠક તો કોંગ્રેસે 28 બેઠક પર જીત મેળવી હતી, જ્યારે 1 બેઠક પર અપક્ષે વિજય મેળવ્યો હતો. એટલે કે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારો કોંગ્રેસનો ગઢ ગણાય છે. સૌરાષ્ટ્રમાં ફટકો પડવાના કારણે ભાજપ સત્તા સુધી પહોંચવામાં હાંફી ગયું હતું. જેથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રચારમાં સૌથી વધુ ફોકસ સૌરાષ્ટ્ર પર જ કરી રહી છે.

પરિવર્તન કે થશે પૂનરાવર્તન ?

ગુજરાત ઈલેક્શન 2022 :   જો દક્ષિણ ગુજરાતનું ગણિત સમજીએ તો અહીં કુલ 35 વિધાનસભા બેઠક આવેલી છે. જે અંતર્ગત 2017 ની ચૂંટણીમાં ભાજપને 25 બેઠકો પર જીત મળી હતી અને કોંગ્રેસ 8 બેઠકો જીતવામાં સફળ રહી હતી, જ્યારે 2 બેઠક પર અપક્ષે મેદાન માર્યું હતું. જો કે 2012ની તુલનાએ ભાજપને અહી 3 બેઠકોનું નુકસાન થયું હતું, તો કોંગ્રેસને 2 બેઠકનો ફાયદો ફાયદો થયો હતો.તેમાં પણ વ્યારા અને વાસંદા એવી બેઠક છે જે ભાજપ છેલ્લા 27 વર્ષથી જીતી શકી નથી. એટલે કે પ્રથમ તબક્કામાં થનાર 89 બેઠકોનું મતદાન ખૂબ જ અસરકારક સાબિત થશે.

આ તબક્કામાં જે પક્ષને વધુ મતો મળશે, તેનો જ ગુજરાતમાં રાજ્યાભિષેક થશે તેમાં કોઈ બે મત નથી. સૌરાષ્ટ્રની 54 બેઠકોમાંથી અનેક બેઠકો એવી છે કે જેના પર અનેક મોટા ચહેરા આમને-સામને છે.મહત્વનું છે કે, 2017 ચૂંટણીમાં પાટીદાર આંદોલને સૌરાષ્ટ્રમાં મોટો રોલ ભજવ્યો હતો. જોકે આ વખતે કોઈ ચોક્કસ સમુદાય કે સમાજનો દેખીતી રીતે ઉડીને આંખે વળગે તેવો કોઈ મુદ્દો છે નહી. પરંતુ આપની એન્ટ્રીથી ગુજરાતમાં ત્રણેય પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામશે. જો કે આ રાજકીય અખાડામાં કોનું પલ્લુ ભારે છે, તે તો ચૂંટણીના પરિણામ જ બતાવશે.

Published On - 1:00 pm, Tue, 15 November 22