
NEET UG 2026 પરીક્ષા રદ્દ થતાં દેશભરના લાખો વિદ્યાર્થીઓમાં ચિંતા ફેલાઈ ગઈ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પેપર લીકના આરોપો સામે આવ્યા બાદ આ મોટો નિર્ણય લીધો છે. હવે સમગ્ર મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) તપાસ કરશે. અત્યાર સુધી આ કેસની તપાસ રાજસ્થાન પોલીસની SOG ટીમ કરી રહી હતી.
પ્રારંભિક તપાસમાં એવું માનવામાં આવતું હતું કે ‘ગેસ પેપર’ તરીકે ફેલાયેલા પ્રશ્નોમાંથી આશરે 120 પ્રશ્નો મૂળ પરીક્ષામાં પૂછાયા હતા. પરંતુ તપાસ આગળ વધતા ખુલાસો થયો કે પ્રશ્નપત્ર તૈયાર થયા બાદ અને છપાઈ પહેલાં જ કેટલાક પ્રશ્નો લીક થયા હોવાની શક્યતા છે. આ પ્રશ્નો પછી ગેસ પેપરના નામે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
રાજસ્થાન પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ચુરુનો એક વિદ્યાર્થી, જે હાલ કેરળમાં MBBS અભ્યાસ કરી રહ્યો છે, તેણે NEET UGનું એક PDF ગેસ પેપર સીકરના એક PG સંચાલકને મોકલ્યું હતું. ત્યારબાદ આ પેપર વાયરલ થયું હતું.
ખાસ વાત એ છે કે પરીક્ષા પૂર્ણ થયા પછી આ જ PG સંચાલકે પોલીસને ફરિયાદ કરી હતી કે ગેસ પેપરમાં રહેલા 120થી વધુ પ્રશ્નો પરીક્ષામાં યથાવત પૂછાયા હતા. ત્યારથી સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો હતો.
NEET UGનું પ્રશ્નપત્ર નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા તૈયાર કરવામાં આવે છે. તેના માટે વિશેષ નિષ્ણાતોની એક કમિટી બનાવવામાં આવે છે, જેમાં વિષય નિષ્ણાતો, સાયકોમેટ્રિક્સ એક્સપર્ટ, IT અને સિક્યોરિટી પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે.
તે ઉપરાંત ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ, એડિટર્સ, શિક્ષકો અને રિવ્યુઅર્સ પણ આ પ્રક્રિયામાં જોડાયેલા હોય છે. પ્રશ્નપત્ર તૈયાર થયા બાદ તેને અનેક તબક્કામાં ચકાસવામાં આવે છે. સબજેક્ટ એક્સપર્ટ્સ અને ટેક્નિકલ ટીમો મળીને પ્રશ્નોની ગુણવત્તા અને ગોપનીયતા બંનેની ખાતરી કરે છે.
NTA દરેક વિષય માટે અલગ ‘આઇટમ બેંક’ તૈયાર કરે છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આધુનિક સોફ્ટવેર ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. પ્રશ્નોના જવાબ અને તેની ચોકસાઈ માટે અલગ ટેસ્ટ ડેવલપમેન્ટ કમિટીઓ પણ કામ કરે છે.
સામાન્ય રીતે સમગ્ર પ્રક્રિયા એટલી ગોપનીય રાખવામાં આવે છે કે કોઈ એક વ્યક્તિને સંપૂર્ણ પ્રશ્નપત્રની માહિતી ન મળે.
હાલ તપાસમાં સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે શું પ્રશ્નપત્ર પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું? રાજસ્થાન પોલીસની શરૂઆતની તપાસ મુજબ પ્રશ્નો છપાઈ પહેલાં જ બહાર આવ્યા હતા અને બાદમાં ગેસ પેપર તરીકે વાયરલ થયા હતા.
હવે CBI સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરશે. તપાસમાં NTA સાથે જોડાયેલા અધિકારીઓ, પ્રશ્નપત્ર તૈયાર કરતી ટીમો અને પ્રિન્ટિંગ પ્રક્રિયા સાથે સંકળાયેલા લોકોની પણ પૂછપરછ થઈ શકે છે.
પરીક્ષા રદ્દ થતા લાખો વિદ્યાર્થીઓ ફરી તૈયારી કરવાની ચિંતા વચ્ચે આવી ગયા છે. ઘણા વિદ્યાર્થીઓએ લાંબા સમયથી તૈયારી કરી હતી અને હવે ફરી પરીક્ષા લેવાશે કે નહીં, તેની રાહ જોઈ રહ્યા છે.
શિક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે આવી ઘટનાઓ દેશની પરીક્ષા પ્રણાલી પરનો વિશ્વાસ નબળો બનાવે છે. ભવિષ્યમાં આવી ગેરરીતિ અટકાવવા માટે વધુ કડક સુરક્ષા અને પારદર્શક વ્યવસ્થા જરૂરી બનશે.