પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના PMFBYમાં ફેરફારો થઈ શકે છે. આ માહિતી ખુદ કૃષિ સચિવ મનોજ આહુજાએ આપી છે. તેમણે કહ્યું છે કે તાજેતરના આબોહવા સંકટ અને ટેકનોલોજીના ઝડપી વિકાસને ધ્યાનમાં રાખીને સરકાર ખેડૂતોના લાભ માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના PMFBYમાં ફેરફાર કરવા માટે તૈયાર છે. નોંધનીય છે કે 2022માં મહારાષ્ટ્ર, હરિયાણા અને પંજાબમાં ભારે વરસાદ સાથે ગરમ વાતાવરણ જોવા મળ્યું હતું, જ્યારે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં ઓછો વરસાદ થયો હતો. જેના કારણે ડાંગર, કઠોળ અને તેલીબિયાં જેવા પાકોને નુકસાન થયું હતું. તાજેતરમાં આવી હવામાન અનિશ્ચિતતાના કિસ્સાઓ પણ વધ્યા છે.
આહુજાએ નિવેદનમાં જણાવ્યું હતું કે કૃષિને આવી આબોહવા આપત્તિઓથી સીધી અસર થાય છે, તેથી દેશના નબળા ખેડૂત સમુદાયને કુદરતના વિનાશથી બચાવવા તે મહત્વપૂર્ણ અને ખૂબ જ જરૂરી છે. પરિણામે, પાક વીમાની માગમાં વધારો થવાની સંભાવના છે અને ભારતમાં ખેડૂતોને પર્યાપ્ત વીમા સુરક્ષા પ્રદાન કરવા માટે પાક અને અન્ય ગ્રામીણ અને કૃષિ વીમા ઉત્પાદનો પર વધુ ભાર મૂકવાની જરૂર છે, એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય તાજેતરના આબોહવા સંકટ અને ઝડપી તકનીકી વિકાસના જવાબમાં PMFBYમાં ખેડૂત તરફી ફેરફારો કરવા તૈયાર છે.
આપને જણાવી દઈએ કે જો અતિવૃષ્ટિ અથવા દુષ્કાળને કારણે પાક બગડે છે તો ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ વળતર આપવામાં આવે છે. ભૂતકાળમાં મહારાષ્ટ્રમાં ખેડૂતોને PMFBY હેઠળ વળતર આપવામાં આવ્યું હતું. રાજ્યના કૃષિ મંત્રી અબ્દુલ સત્તારે પોતે કહ્યું હતું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ વીમા કંપનીઓએ 16 લાખ 86 હજાર 786 ખેડૂતોને 6255 કરોડ રૂપિયાનું વળતર આપ્યું છે. જો કે આ દરમિયાન, તેમણે બાકીના નુકસાનથી પ્રભાવિત ખેડૂતોને તાત્કાલિક રૂ. 1644 કરોડની રકમ જમા કરાવવાનું વચન આપ્યું હતું. સરકારે દાવો કર્યો હતો કે પાક વીમો ભરનાર કોઈપણ ખેડૂત આ લાભથી વંચિત નહીં રહે.
ભૂતકાળમાં પંજાબ સરકારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY)ને મંજૂરી આપી હતી. આવી સ્થિતિમાં અન્ય રાજ્યોની જેમ પાક નિષ્ફળ જવાને કારણે અહીંના ખેડૂતો પણ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ લઈ શકશે. નિષ્ણાતો કહે છે કે અગાઉ પંજાબમાં પાકના નુકસાનનો દર પાંચ ટકાથી વધુ ન હતો. પરંતુ છેલ્લા બે વર્ષમાં ખાસ કરીને કપાસ અને ડાંગર (બાસમતી અને બિન-બાસમતી)માં પાકનું નુકસાન 15%થી વધી ગયું છે.