Kisan Diwas 2022 : આજે દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે રાષ્ટ્રીય કિસાન દિવસ, જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

આજનો દિવસ આ અન્નદાતાઓને સમર્પિત છે. હા, આજે એટલે કે 23 ડિસેમ્બરે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે. જાણો તેનો ઈતિહાસ અને મહત્વ.

Kisan Diwas 2022 : આજે દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે રાષ્ટ્રીય કિસાન દિવસ, જાણો તેનો ઈતિહાસ અને મહત્વ
National Farmers Day
Image Credit source: Google
| Edited By: | Updated on: Dec 23, 2022 | 4:21 PM

ભારત વિશ્વભરમાં કૃષિ મહાશક્તિ તરીકે જાણીતું છે અને તે ચોક્કસપણે આપણા ખેડૂતો વિના શક્ય નથી. ખેડૂતો જેમને આપણે અન્નદાત્તા પણ કહીએ છીએ. દેશના ખેડૂતો જ આપણને રોજીંદું ભોજન પૂરું પાડવા માટે દિવસ-રાત મહેનત કરે છે. આજનો દિવસ આ અન્નદાતાઓને સમર્પિત છે. હા, આજે એટલે કે 23 ડિસેમ્બરે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે.

રાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવવા પાછળનો હેતુ?

કિસાન દિવસ ભારતમાં દર વર્ષે 23 ડિસેમ્બરે આપણા ખેડૂતોનું સન્માન કરવા અને તેમની તમામ સેવાઓ બદલ તેમનો આભાર માનવા માટે ઉજવવામાં આવે છે. વર્ષ 1965માં જ્યારે ભારત પર પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો અને અનાજની તીવ્ર અછત હતી, ત્યારે આપણા બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ “જય જવાન જય કિસાન” નું સૂત્ર આપ્યું હતું જેનો ઉદ્દેશ્ય આપણા સૈનિકો અને ખેડૂતોનું મનોબળ વધારવાનો હતો.

23 ડિસેમ્બરે જ કિસાન દિવસ કેમ ઉજવાય છે?

જેમ કે આગળ કહ્યું તેમ દર વર્ષે 23 ડિસેમ્બરને ભારતમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ અને દેશના ખેડૂતોના સન્માન માટે પસંદ કરવામાં આવ્યો હતો.

હકીકતમાં, 23 ડિસેમ્બરને ખેડૂત દિવસ ઉજવવા માટે પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે આ દિવસ ભારતના 5માં વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહનો જન્મદિવસ છે, જેઓ એક ખેડૂત નેતા તેમજ વડાપ્રધાન હતા અને ભારતીય ખેડૂતોના જીવનને સુધારવા માટે કામ કર્યું હતું. આ માટે તેમણે અનેક કાર્યક્રમો અને યોજનાઓ પણ ચલાવી હતી. તેમણે ખેડૂતોની પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

જુલાઈ 1979 થી જાન્યુઆરી 1980 સુધી ભારતના વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, ચૌધરી ચરણ સિંહે ભારતીય કૃષિ ક્ષેત્રમાં વિવિધ ખેડૂત બિલો ઘડવામાં અને અમલમાં મુકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું સૂત્ર અપનાવ્યું હતું.

પરિણામે તેઓ આજે પણ લોકપ્રિય ખેડૂત નેતા તરીકે ઓળખાય છે. એ યાદ રાખવું અગત્યનું છે કે સૌથી પ્રભાવશાળી ક્ષેત્ર હોવા છતાં જે લોકોની મૂળભૂત જરૂરિયાત ખોરાકની જરૂરિયાતને અનુરૂપ છે, માત્ર થોડા જ લોકો ખેડૂતો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓથી વાકેફ છે. લોકોમાં અન્નદાતા વિશે જરૂરી માહિતીનો અભાવ છે.

તેથી, ખેડૂત દિવસની ઉજવણી લોકોને આ મુદ્દાઓ વિશે શિક્ષિત કરવા તેમજ ખેડૂતોને કૃષિ વ્યવસાય વિશે નવી હકીકતો જાણવા માટે પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આજે દેશભરમાં જુદા જુદા કાર્યક્રમો અંતર્ગત ખેડૂતોનું સન્માન કરવામાં આવી રહ્યું છે અને લોકોને ખેડૂતોના મહત્વ વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ટપાલ વિભાગએ પણ ટ્વિટ કરી ખેડૂતોને કિસાન દિવસની હાર્દિક શુભકામના પાઠવી છે.