નિસહાય ગાય અને ભેંસને અપનાવી કરી શકો છો આ વ્યવસાય, મેળવી શકો છો સારી કમાણી

દૂધ આપવાનું બંધ કર્યા પછી પણ ખેડૂતો ગાય અને ભેંસનું પાલન કરીને સારો નફો કમાઈ શકે છે. સરકાર ખેડૂતોને આવી ગાયો પાળવા માટે પણ પ્રોત્સાહિત કરી રહી છે.

નિસહાય ગાય અને ભેંસને અપનાવી કરી શકો છો આ વ્યવસાય, મેળવી શકો છો સારી કમાણી
Symbolic Image
Image Credit source: File Photo
| Edited By: | Updated on: Nov 12, 2022 | 7:53 PM

થોડા સમય પછી દુધાળા પશુઓ દૂધ આપવાનું બંધ કરી દે છે. આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો તેમને નિરાધાર છોડી દે છે. ઘણા રાજ્યોમાં ગાય અને ભેંસને લાવારીસ છોડવા માટે સજાની જોગવાઈ પણ છે. જો કે દૂધ આપવાનું બંધ કર્યા પછી પણ ખેડૂતો ગાય અને ભેંસનું પાલન કરીને સારો નફો કમાઈ શકે છે. સરકાર ખેડૂતોને આવી ગાયો પાળવા માટે પણ પ્રોત્સાહિત કરી રહી છે.

ઓર્ગેનિક ખેતીમાં ગાય અને ભેંસની મહત્વની ભૂમિકા

કેન્દ્ર સરકાર દ્વારા સજીવ ખેતીને મોટાપાયે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ માટે ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે. ઓર્ગેનિક ખેતીમાં ગાય અને ભેંસ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. ખેડૂતો ગાય આધારિત ખેતી કરીને સારો નફો મેળવી શકે છે. તમે ગાયના છાણ અને મૂત્રમાંથી બનાવેલ ખાતર ‘જીવામૃત’ બનાવીને પણ તમારા પાકની ઉપજમાં વધારો કરી શકો છો. આ સાથે તમે તેને અન્ય ખેડૂતોને વેચીને સારો નફો મેળવી શકો છો.

તમે જીવામૃતથી નફો મેળવી શકો છો

જીવામૃત બનાવવા માટે એક ડ્રમમાં 200 લિટર પાણી નાખો. 10 કિલો તાજુ ગાયનું છાણ, 10 લિટર ગૌમૂત્ર, 1 કિલો ચણાનો લોટ, 1 કિલો જૂનો ગોળ અને 1 કિલો માટી મિક્સ કરો. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તેને 48 કલાક માટે છાયામાં રાખો. 2થી 4 દિવસ પછી આ મિશ્રણ ઉપયોગ માટે તૈયાર થઈ જશે.

વર્મીકમ્પોસ્ટ વેચીને સારી આવક

આ ઉપરાંત ખેડૂતો ગાયના છાણમાંથી વર્મી કમ્પોસ્ટ પણ બનાવી શકે છે. આ ખાતર બજારમાં સારા ભાવે વેચાય છે. સૌ પ્રથમ માટીના જાડા પડ પર પાણીનો છંટકાવ કરીને જમીનને 50થી 60 ટકા ભેજવાળી કરો. પછી તેને જમીનમાં 1000 અળસિયા પ્રતિ ચોરસ મીટરના દરે નાખો. આ પછી માટીના જાડા પડની ટોચ પર 8થી 10 જગ્યાએ ગાયનું છાણ અથવા છાણા નાખો અને પછી તેની ઉપર ત્રણથી ચાર ઈંચ સૂકા પાંદડા, ઘાસ પાથરી દો.

ત્રીસ દિવસ પછી ખજૂર અથવા નાળિયેરના પાનનું આવરણ દૂર કરી અને 60:40ના ગુણોત્તરમાં શાકભાજીનો કચરો અથવા સૂકી શાકભાજીની સામગ્રીને ભેળવીને બે થી ત્રણ ઇંચ જાડું સ્તર પાથરો. તેની ઉપર 8થી 10 ગાયના છાણના નાના ઢગલા રાખો. ત્યારબાદ 45 દિવસ પછી અળસિયાનું ખાતર તૈયાર થાય છે.

છત્તીસગઢમાં ખરીદવામાં આવે છે ગૌમૂત્ર

છત્તીસગઢ સરકાર દ્વારા ગૌમૂત્રની ખરીદી 4 રૂપિયા પ્રતિ લીટરે કરવામાં આવે છે. ગોધન ન્યાય મિશન યોજના હેઠળ ગૌમૂત્રમાંથી જીવામૃત અને જંતુ નિયંત્રણ ઉત્પાદનો માટે મહિલા સ્વ-સહાય જૂથો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ માટે તેમને સરકાર દ્વારા તાલીમ પણ આપવામાં આવી રહી છે. આ સિવાય અન્ય રાજ્યોની સરકારો પણ આવી કેટલીક યોજનાઓ લઈને આવી રહી છે.