Surat : સુરતના ભેસ્તાન ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીઝની સામે આવેલા ગાર્ડનમાં 40 વર્ષીય યુવકની હત્યા (Murder) કરવામાં આવી હતી. આ ગુનાનો ભેદ પાંડેસરા પોલીસે ઉકેલી કાઢ્યો છે, પાંડેસરા પોલીસે આ ઘટનામાં એક આરોપીની ધરપકડ કરી છે તેમજ હત્યા કરનાર આરોપી મૃતકનો મિત્ર જ હોવાનું બહાર આવ્યું હતું. સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ યુવકની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ પણ વાંચો Surat : અડાજણ, રાંદેર, ડભોલી, કતારગામ, પાંડેસરામાં વરસ્યો વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ Video
મળતી માહિતી મુજબ મૂળ યુપીના વતની અને હાલમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અને ડાઈંગ મિલમાં નોકરી કરતા 40 વર્ષીય કલ્લુ જગરૂપ ઉર્ફે નૈના નિશાદની ગત 18 સપ્ટેમ્બર 2023ના રોજ ભેસ્તાન સ્થિત ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીઝની સામે આવેલા ગાર્ડનની અંદર તેની હત્યા કરી દેવામાં આવી હતી, બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, મૃતક કલ્લુ જગરૂપ ઉર્ફે નૈના નિશાદને સંતાનમાં એક દીકરો અને ત્રણ દીકરી છે.
આ ઘટનામાં પાંડેસરા પોલીસે મૂળ બિહારના વતની અને હાલમાં ભેસ્તાન વિસ્તારમાં રહેતા આરોપી અમાવસ રામપરવેશ મહતોની ધરપકડ કરી છે, પોલીસે તેની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ગત 18 સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે મદનલાલ ઢીંગરા ગાર્ડનમાં બેઠા હતા ત્યારે મૃતક તથા આરોપી વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઇ હતી. તેથી મૃતકે આરોપીને ગાળો આપતા આરોપી અમાવસને લાગી આવ્યું હતું અને તે નજીકમાંથી લાકડાનો ફટકો લાવીને મૃતક કલ્લુ નિશાદના માથાના ભાગે ઉપરા છાપરી ફટકા મારતા તેને ગંભીર ઈજા પહોચી હતી અને તેનું મોત થયું હતું.