VADODARA : ધર્માંતરણ અને હવાલા કૌભાંડ મામલે આફમી ટ્રસ્ટના અન્ય બે ટ્રસ્ટીઓની પૂછપરછ કરવામાં આવી છે. આ પૂછપરછમાં અન્ય ટ્રસ્ટીઓની જાણ બહાર સલાઉદ્દીન હવાલા રેકેટ ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. વિદેશથી આવતી કરોડોની રકમ અને આંગડિયા પેઢીઓથી હેરાફેરીથી આફમી ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓ અજાણ હોવાનું સામે આવ્યું છે. મુસા પટેલ અને ડો. અહમદ શેખ આફમી ટ્રસ્ટના સહ ટ્રસ્ટીઓ છે. હવાલાથી આવતી રકમથી બંને ટ્રસ્ટીઓ સંપૂર્ણ અજાણ હોવાનું નિવેદન આપ્યું છે. વડોદરા SOGના અધિકારીઓ દ્વારા સલાઉદ્દીન, મુસા પટેલ અને ડો. અહમદ શેખ ત્રણેયનું ક્રોસ ઇન્ટરોગેશન કરવામાં આવ્યું છે.
આ સાથે આ કેસમાં મહારાષ્ટ્રના જલગાંવના મોહંમદ સાજીદ,ખાલિદ,શાહિદ નામના ત્રણ ભાઈઓ ની પુછપરછ કરવામાં આવી છે. સલાઉદ્દીને આ ત્રણેય ભાઈઓને 12 કરોડ જેટલી રકમ આંગડિયા મારફતે મોકલી હતી.
મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશમાં મસ્જિદો બનાવવા તથા અન્ય પ્રવૃત્તિઓમાં રકમ વાપરી હોવાની ત્રણેય ભાઈઓએ નિવેદન આપ્યું છે.
આ ઉપરાંત સલાઉદ્દીને પાકિસ્તાન સરહદે આવેલ રાજસ્થાનના બાડમેરમાં અબ્દુલ મજીદ નામના ઈસમને મસ્જિદો બનાવવા તથા અન્ય પ્રવૃત્તિઓ માટે 4 કરોડ રૂપિયા આપ્યા હતા. સલાઉદ્દીને વર્ષ 2020-2021માં ઓરિસ્સાના અશફાક નામના ઇસમને 23 લાખ રૂપિયા મોકલ્યા હોવાની કબૂલાત પણ કરી છે.
આ પણ વાંચો : સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થઈ શકે છે, કાશ્મીરમાં નાગરિકો પર હુમલા સહિત આ મુદ્દાઓ પર ચર્ચાની શક્યતા
આ પણ વાંચો : DELHI HCમાં કેન્દ્ર સરકારે કહ્યું, “Whatsapp એક વિદેશી કંપની, ભારતીય કાયદાઓને પડકારી ન શકે”