અંકલેશ્વરમાં બીમાર પત્નીના હોસ્પિટલમાં ઈલાજ દરમ્યાન IV FLUID ની બોટલમાં સાયનાઇડ( Cyanide)નું ઇન્જેક્શન મારી પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિની ભરૂચ એસસી એસટી સેલના ડીવાયએસપી એમ પી ભોજાણીએ ધરપકડ કરી છે. એક કણ પણ અનેક લોકોનો જીવ લેવા પૂરતો હોય છે તેવા અત્યંત ઝેરી કેમિકલના સ્ટોરેજથી લઈ વપરાશ સુધી કડક નિયમો હોવા છતાં સાયનાઇડ આરોપીના હાથમાં કેવી રીતે આવ્યું તે બાબતે પણ પોલીસે તપાસ શરુ કરી છે.
અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામ ખાતે આવેલ ગણેશ રેસિડેન્સી ખાતે રહેતા જીગ્નેશ પટેલે સારંગપુર ની ઉર્મિલાબેન વસાવા સાથે 8 વર્ષ પૂર્વે પ્રેમ સંબંધ બાદ લગ્ન કર્યા હતા. ગત 8 મી જુલાઇ ના રોજ જીગ્નેશ પટેલે પત્ની ઉર્મિલાને છાતી માં દુખાવો થતા અંકલેશ્વરની ઓરેન્જ હોસ્પિટલમાં મહિલાને સારવાર માટે ખસેડી હતી. હોસ્પિટલમાં મહિલાની તબીબી તપાસમાં તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા જેને થોડા સમયમાં ડિસ્ચાર્જ આપવાનું નક્કી કરાયું હતું.
અચાનક મોત બાદ હોસ્પિટલે લાશ પરિવારને ન સોંપી પોલીસને બોલાવી
ઓબ્ઝર્વેશન દરમ્યાન અચાનક દરમિયાન ઉર્મિલાબેન ની તબિયત લથડી હતી અને તેમનું મોત નીપજ્યું હતું. ડોક્ટર દ્વારા પણ મહિલાના અચાનક મોત થતા આશ્ચર્યમાં પડ્યા હતા. મૃત્યુ બાદ નજરે પડેલા કેટલાક લક્ષણોથી શંકા ઉપજી હતી. હોસ્પિટલે લાશ પરિવારને સોંપવાના સ્થાને પોલીસને બોલાવી હતી. સ્વસ્થ મહિલાના અચાનક મૃત્યુ અંગે પોલીસને અકુદરતી મૃત્યુની શંકા વ્યક્ત કરતા મૃતક ઉર્મિલાના પતિ જીગ્નેશ પટેલના લલાટે ચિંતાની લકીરો સ્પષ્ટ જોઈ શકાતી હતી . મૃતકના ભાઈ વિજય વસાવાની ફરિયાદના આધારે પોસ્ટ મોટર્મ કરાયું હતું
FSL એ રિપોર્ટમાં મોત સાઈનાઈટથી થયું હોવાનું સામે આવ્યું
અકસ્માત નોંધ દાખલ કરી પોલીસે પેનલ પી.એમ કરાવાયું હતું તેમજ દવાના બોટલ અને મૃતક ઉર્મિલાબેન ના વિશેરા લઇ તબીબી પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતા. જેનો FSL રિપોર્ટ આવતા ઉર્મિલાબેન નું મોત સાયનાઇડથી થયું હોવાનું બહાર આવ્યું હતું. IV FLUID ની બોટલ અને મૃતક શરીરમાં સાઇનાઇટ મળી આવ્યું હતું.
સાઇનાઇટને ઈન્જેકશમાં ભરી IV FLUID ની બોટલમાં ઈન્જેક્ટ કરી દેવાયું હતું
પહેલથી શંક્સ્પદ હરકતો કરતા પતિની પૂછપરછ શરૂ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી. શહેર પોલીસ દ્વારા મૃતક ઉર્મિલાબેનના ભાઈ વિજય વસાવાની ફરિયાદ આધારે મૃતકના પતિ જીગ્નેશ પટેલ વિરુદ્ધ હત્યા તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. જીગ્નેશે સાયનાઇડને પાણીમાં ઓગાળી ઈન્જેક્શનમાં ભરી ઉર્મિલાને ચઢાવાયેલા IV FLUID ની બોટલમાં ઈન્જેક્ટ કરી દીધું હતું.
સાઇનાઇટ જીગ્નેશને કોણે આપ્યું?
સાઇનાઇટ અત્યંત ઝેરી કેમિકલ છે જેનો રસાયણી ઉત્પાદનોમાં ઉપયપગ કરનાર કંપનીઓએ પણ હિસાબ રાખવો પડે છે. કડક કાયદા વચ્ચે જીગ્નેશ પટેલે આ અત્યંત ઝેરી રસાયન ક્યાંથી મેળવ્યું અને મોટો પ્રશ્ન ઉભો થયો હતો. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે અંકલેશ્વરની યુપીએ કંપનીમાં નોકરી કરે છે જેણે સ્ટોરમાંથી ૨ ગ્રામ કેમિકલ ચોરી કર્યું હતું. આ ઝેરી કેમિકલ માટે સરકારના ખુબ કડક નિયમ છે તેવામાં આ ઝેર તેના હાથમાં કઈ રીતે આવ્યું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
ઘરકંકાસમાં પત્નીની કાવતરું ઘડી હત્યા કરી : Dysp એમ પી ભોજાણી
તપાસ અધિકારી એમ પી ભોજાણીએ જણાવ્યું હતું કે ઘરકંકાસમાં હત્યા ની આરોપી કબૂલાત કરે છે. ઘણા સમય પેહલા તેને સાયનાઇડ ચોરી કરી પાસે રાખ્યું હતું અને તે તકના ઈન્તેજારમાં હતો. ઉર્મિલા બીમાર પડતા તેણે આ કાવતરું ઘડ્યું હતું.
Published On - 3:20 pm, Sun, 8 August 21