Ahmedabad: નારોલ વિસ્તારમાં સ્ટોન કિલિંગની ઘટના સામે આવી હતી. રૂપિયાની લેવડ-દેવડને લઈને આરોપીએ યુવકને પથ્થર વડે હત્યા કરી હતી. પોલીસે હત્યા કરનાર સ્ટોન કીલરની ધરપકડ કરી લીધી છે. આરોપીએ અગાઉ પણ એક હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. કોણ છે આ સ્ટોન કીલર જોઈએ આ અહેવાલમાં.
નારોલ પોલીસની કસ્ટડીમાં દેખાતા આ સ્ટોન કિલરનું નામ છે સતીષ ઉર્ફે સત્યો રાઠોડ. સતીશ થોડા દિવસ પહેલાં જ નારોલમાં સનરાઈઝ હોટલ નજીક આવેલા ઉમંગ ફ્લેટમાં રહેવા આવ્યો હતો. તે દરમિયાન તેને મૃતક રાજેશ યાદવ સાથે સંપર્ક થયો હતો. આરોપી સતીશને ખ્યાલ આવ્યો કે રાજેશ પાસે સારા એવા રૂપિયા આવ્યા છે.
જેથી સતીશ રૂપિયાની માગંણી રાજેશ પાસે કરી. પરંતુ રાજેશએ પૈસા આપવાનો ઈન્કાર કર્યો હતો. જેથી અદાવત રાખીને આરોપી સતીષે 2 જાન્યુઆરીના રોજ સાંજે રાજેશ પોતાના ફ્લેટથી બહાર નીકળ્યો હતો ત્યારે આરોપીએ તકરાર કરી. બાદમાં નજીકમાં આવેલી ગુરૂકૃપા ઇન્ડસ્ટ્રીઝના ખાલી પડેલી અવાવરુ ઓરડીમાં પથ્થરથી માથું છૂંદીને હત્યાને અંજામ આપ્યો. હત્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. પોલીસે બાતમીના આધારે આરોપી સ્ટોન કિલરની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
સ્ટોન કિલરની ક્રાઇમ કુંડળી
નામ – સતીશ ઉર્ફે સત્યો રાઠોડ
ઉંમર – 34 વર્ષ
રહેઠાણ – ઉમંગ ફલેટ, નારોલ-અસલાલી
કામ – છૂટક મજૂરી
1. નારોલમાં રૂપિયા બાબતે યુવકનો હત્યાનો ગુનો
2. ઇસનપુરમાં પણ અગાઉ એક હત્યા કરી હોવાની કબૂલાત
નારોલ પોલીસની પૂછપરછમાં સામે આવ્યુ કે આરોપી સતીષ ઉર્ફે સત્યા રાઠોડે અગાઉ પણ એક હત્યા કરી હોવાની કબુલાત કરી છે. મૃતક રાજેશ પોતાના ઘરેથી નીકળ્યો ત્યારે આરોપી સતીષ ઘર નજીક આવેલા ગુરુકૃપા એસ્ટેટમાં રાહ જોઈને ઉભો હતો. રાજેશ આવતાની સાથે જ અંધારાની આડમાં મરામાંરી કરવા લાગ્યો જેમાં એસ્ટેટ પાસે આવેલી અવાવરી ઓરડીમાં લઈ જઈ માથા ના ભાગે પથ્થર મારી હત્યા નિપજાવી ફરાર થઇ ગયો હતો.
જેમાં પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં ગણતરીના કલાકમાં આરોપીને પકડવામાં નારોલ પોલીસને સફળતા મળી હતી. નારોલમાં કરેલા સ્ટોન કિલિંગ કેસ બાદ પોલીસને ઇસનપુરમાં પણ આરોપીએ હત્યા કરી હોવાનુ ખુલ્યુ છે. ત્યારે ઇસનપુરમાં થયેલ હત્યા માં સ્ટોન કિલિંગ છે કે કેમ તે જાણવા તપાસ શરૂ કરાઈ છે.
મહત્વનુ છે કે 40 વર્ષીય રાજેશ યાદવની હત્યા રૂપિયા પડાવવા કરી કે અન્ય કોઈ અદાવતમા હત્યા કરી તે મુદ્દે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને વધુ પુછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચો: JEE Advanced 2022: JEE મેઇન વગર પણ આપી શકાશે JEE એડવાન્સ 2022, ત્રીજી તક પણ મળશે
આ પણ વાંચો: Padhe Bharat Campaign: શિક્ષણ મંત્રાલયે ‘પઢે ભારત અભિયાન’ કર્યું શરૂ, પુસ્તકોની પ્રથમ યાદી કરી જાહેર