રૂ.1500 કરોડનું ફુલેકુ ફેરવનાર અમોલ શેઠની ક્રાઇમ બ્રાન્ચે વધુ એક કેસમાં ફરી વખત ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી સાબરમતી જેલમાં જ્યૂડિશલ કસ્ટડીમાં રહેલા અમોલ શેઠની ફરી એક વખત ધરપકડ કરી છે. અમોલ શેઠ દ્વારા આચરવામાં આવેલી 1.55 કરોડની છેતરપિંડીના મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેના કૌભાંડનું પગેરું મેળવવા મથી રહી છે. હાલ કૌભાંડી અમોલ શેઠના કૌભાંડોનું ફોરેન્સિક ઓડિટ કરાશે. સમગ્ર કૌભાંડની તપાસ માટે ચાર્ટડ એકાઉન્ટન્ટની એક ખાસ પેનલ નિમણૂક કરાશે.
8થી 10 કે તેનાથી વધુ ફરિયાદો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાશે. અને તે માટે 4 જેટલા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે સમગ્ર કૌભાંડની તપાસ કરવા માટે અમોલ શેઠની 20 કંપનીઓ ડેટા મેળવી તપાસ કરાશે અને સમગ્ર કૌભાંડમાં હજુ ઘણા મોટા માથાઓની સંડોવણી સામે આવે આવી શક્યતાઓ છે.
અગાઉ, લેટ સ્પ્લિટ કંપની ના ભાગીદાર સુમિત શેઠ અને રાજન શાહે સીઆઇડી ક્રાઇમના અમદાવાદ ઝોન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં અમોલ શેઠ પર આક્ષેપ કર્યો હતો કે અનિલ સ્ટાર્ચ કંપની સાથે સંકળાયેલી પેટા કંપનીઓ યુનિક એગમાર્ક પ્રાઈવેટ લિમિટેડ તથા અનિલ ટ્રેડ કોમ કંપની માટે મકાઈ ખરીદવા માટે 2 કરોડ 20 લાખ અને 2 કરોડ 75 લાખ ના બિલ ડિસ્કાઉન્ટ આપ્યા હતા, આ બિલ ડિસ્કાઉન્ટ ની રકમ થી મકાઈ ખરીદી વિવિધ ઉત્પાદનો માટે ઉપયોગમાં લેવાને બદલે અમોલ શેઠે આ રકમ પોતાની બીજી પેટા કંપની માં ટ્રાન્સફર કરાવી દઈ પોતાના અંગત હેતુઓ માટે વાપરી નાંખતા સુમિત શેઠ અને રાજન શાહ દ્વારા બે અલગ અલગ ફરિયાદો નોંધાવવામાં આવી હતી.