
ભારતના મહાન શિક્ષક, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિની યાદમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. આવતીકાલે એટલે કે 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શિક્ષક દિવસના (Teachers Day 2022) અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) દેશના 46 શ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરશે. દેશના વિવિધ રાજ્યોમાંથી આ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. તેમની પસંદગી ઓનલાઈન પસંદગી પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે. શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, શિક્ષણ મંત્રાલય દર વર્ષે 5મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સમારોહનું આયોજન કરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સોમવારે શિક્ષક દિવસ પર રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે વાતચીત કરશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપેલા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. ચાલો જાણીએ કોણ છે આ 46 શિક્ષકો.
આ કાર્યક્રમનું આયોજન વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. દૂરદર્શનની સાથે શિક્ષણ મંત્રાલયની સ્વયમ પ્રભા ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. દેશના વિકાસ માટે શિક્ષકોના પ્રયાસો અને યોગદાનની પ્રશંસા કરવા માટે મંત્રાલય દર વર્ષે 5મી સપ્ટેમ્બરે વિજ્ઞાન ભવનમાં આ એવોર્ડ સમારંભનું આયોજન કરે છે.
આ પુરસ્કારો દેશના શ્રેષ્ઠ શિક્ષકોને આપવામાં આવે છે, જેમને પારદર્શક અને ત્રણ તબક્કાની ઓનલાઈન પસંદગી પ્રક્રિયાના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવે છે.