આ અહેવાલ આજે એટલે કે 08 ઓગસ્ટ 2022ના રોજ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Minister of Civil Aviation) વતી સંસદીય સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે, આગામી બે વર્ષમાં દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં 1 લાખથી વધુ લોકોને રોજગાર મળી શકે છે. પાયલોટ (Pilot), કેબિન ક્રૂ (Cabin Crew), એન્જિનિયર, ટેકનિશિયન, એરપોર્ટ સ્ટાફ, ગ્રાઉન્ડ હેન્ડલિંગ, કાર્ગો, રિટેલ, સિક્યોરિટી, એડમિનિસ્ટ્રેટિવ અને સેલ્સ સ્ટાફ તરીકે ભરતી થઈ શકે છે. નવી ભરતી અંગેની માહિતી મંત્રાલયની વેબસાઈટ- civilaviation.gov.in પર આપી શકાય છે.
લોકસભામાં મૂકવામાં આવેલા અહેવાલ મુજબ, નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળના ઉડ્ડયન અને એરોનોટિકલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં હાલમાં 2,50,000 લોકોને રોજગારી મળે છે. મંત્રાલયે અનુમાન લગાવ્યું છે કે, વર્ષ 2024 સુધીમાં આ આંકડો વધીને 3,50,000 થઈ શકે છે. આવી સ્થિતિમાં 1 લાખ લોકોને સીધી નોકરી મળી શકે છે. આ માટે મોટાપાયે ભરતી કરવામાં આવશે.
મંત્રાલયે કહ્યું કે, લગભગ 50 ટકા પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓ બ્લુ-કોલર કામદારો – લોડર્સ, ક્લીનર્સ, ડ્રાઇવરો, હેલ્પર વગેરે માટે હશે. ઉપરાંત, મંત્રાલયના જણાવ્યા અનુસાર, હવાઈ મુસાફરોની વધતી સંખ્યાને જોવા માટે આગામી પાંચ વર્ષમાં વધુ 10,000 પાઇલટ્સની જરૂર પડશે.
રવિવારે નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે, મુસાફરો, વિમાનો અને એરપોર્ટના સંદર્ભમાં ઝડપી વિકાસ થઈ રહ્યો છે. દેશનું ઉડ્ડયન ક્ષેત્ર અભૂતપૂર્વ અને તંદુરસ્ત વિકાસ માટે તૈયાર છે. વર્ષ 2027 સુધીમાં દેશમાં હવાઈ મુસાફરોની સંખ્યા વધીને 400 મિલિયન થવાની ધારણા છે.
ઓફિશિયલ માહિતી અનુસાર, 2019માં 2,368, 2020માં 400 અને 2021માં 296 પાઈલટની ભરતી કરવામાં આવી હતી. 2021માં, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ તેના ઇતિહાસમાં સૌથી વધુ 862 કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ જાહેર કર્યા. ચોક્કસ પ્રકારના એરક્રાફ્ટ પર કમાન્ડરોની તીવ્ર અછત છે. હાલમાં, ભારતીય કેરિયર્સ પર 87 વિદેશી પાયલોટ કાર્યરત છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રનો વિકાસ ખૂબ જ ઝડપી રહ્યો છે. આ કારણે આ ક્ષેત્રમાં પ્રશિક્ષિત વ્યાવસાયિકોની માંગ વધી રહી છે. ઉડ્ડયન ઉદ્યોગમાં પાઇલટ, એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર, કેબિન ક્રૂ, એર-હોસ્ટેસ, ફ્લાઇટ સ્ટુઅર્ડ, કેબિન ક્રૂ અને ગ્રાઉન્ડ ડ્યુટી સ્ટાફ જેવા ઘણા ક્ષેત્રોમાં નોકરીઓની માંગ છે.