
ટામેટા બાદ ડુંગળી (Onion)ના ભાવે સામાન્ય જનતાને રડાવ્યા છે. જો કે, સરકારે કિંમતો અને મોંઘવારી પર અંકુશ મેળવવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં, ડુંગળીના ભાવને નિયંત્રિત કરવા માટે, સરકારે (Government) તેનો બફર સ્ટોક કરવાનું શરૂ કર્યું છે. NCCFએ છેલ્લા 4 દિવસમાં ખેડૂતો પાસેથી 2800 ટન ડુંગળીની ખરીદી કરી છે.
આ સાથે સરકારે બફર સ્ટોકનો લક્ષ્યાંક 3 લાખ ટનથી વધારીને 5 લાખ ટન કર્યો છે. સરકારે ખેડૂતોને ભાવ વધવાના અને પાકને નુકસાન થવાના ડરથી ઉતાવળમાં કે ગભરાટમાં વેચાણ ન કરવાની અપીલ કરી છે. NCCF અને NAFED ખેડૂતોની ડુંગળી વ્યાજબી દરે ખરીદશે. હાલમાં બજારમાં ડુંગળીના ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો સુધી છે.
બે સરકારી સમિતિઓ NCCF અને NAFEDએ જણાવ્યું હતું કે તેમણે ડુંગળીના ભાવ સ્થિર રાખવા અને ફુગાવાને રોકવા માટે 22 ઓગસ્ટથી મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ખેડૂતો પાસેથી સીધી ખરીદી શરૂ કરી છે. મહારાષ્ટ્રમાં લગભગ 12-13 ખરીદ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે અને જો માંગ વધશે તો આ કેન્દ્રો વધુ વધારવામાં આવશે.
છેલ્લા 4 દિવસમાં સરકારી સમિતિઓએ ખેડૂતો પાસેથી વ્યાજબી દરે 2,826 ટન ડુંગળી ખરીદી છે. મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોને ફાયદો થાય તે માટે સરકારે 2410 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ડુંગળીની ખરીદી કરી છે, હાલમાં તે 1900-2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે.
આ પણ વાંચો : Suzlon Energyને મોટો ઓર્ડર મળ્યો, કંપનીનો શેર 52 સપ્તાહની ટોચ પર, જાણો શું છે કારણ !
ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માટે સરકારે તેની નિકાસ પર 40 ટકા ડ્યુટી લગાવી છે. તમને જણાવી દઈએ કે, નવા ફી દર 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે. સરકારનું માનવું છે કે આગામી દિવસોમાં દુનિયાભરમાં ડુંગળીના ભાવ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ડુંગળીના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે. સરકારને ડર છે કે ડુંગળીના ભાવ ટામેટાં જેવા થઈ શકે છે, તેથી સરકાર આ સાવચેતીનું પગલું લઈ રહી છે. ડુંગળી, ટામેટા અને શાકભાજીના ભાવે પણ RBIની ચિંતા વધારી છે.
Published On - 9:10 am, Sun, 27 August 23