રિયલ એસ્ટેટમાં પણ મળશે સરળ લોન, નાણામંત્રી રિઝર્વ બેંક સાથે કરશે ચર્ચા

નાણામંત્રીએ કહ્યું કે, બજેટમાં આગામી 25 વર્ષની બ્લૂ પ્રિન્ટ બહાર આવી છે. બજેટમાં રિવાઇવલ એ સરકારની પ્રથમ પ્રાથમિકતા છે.

રિયલ એસ્ટેટમાં પણ મળશે સરળ લોન, નાણામંત્રી રિઝર્વ બેંક સાથે કરશે ચર્ચા
Finance Minister Nirmala Sitharaman (File Image)
| Edited By: | Updated on: Feb 21, 2022 | 6:57 PM

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) કહ્યું છે કે બાકીના ક્ષેત્રની જેમ, રિયલ એસ્ટેટ ક્ષેત્ર પણ બેંકો પાસેથી સરળતાથી લોન મેળવી શકે, તે માટે તેઓ ભારતીય રિઝર્વ બેંક (RBI) સાથે ચર્ચા કરશે. આજે બજેટ પર ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે ચર્ચા દરમિયાન નાણામંત્રીએ આ ખાતરી આપી હતી. દેશની આર્થિક રાજધાનીમાં સોમવારે પોસ્ટ-બજેટ ચર્ચામાં સીતારમણે કહ્યું કે ટેક્સટાઇલ સેક્ટરના કાચા માલ પર જીએસટી (GST) પર પણ અભિપ્રાય હોવો જરૂરી છે. નાણામંત્રીએ કહ્યું કે, બજેટમાં આગામી 25 વર્ષની બ્લૂ પ્રિન્ટ બહાર આવી છે. બજેટમાં રિવાઇવલ એ સરકારની પ્રથમ પ્રાથમિકતા છે.

ઉદ્યોગના લોકો સાથેની બેઠકમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સામે, ઉદ્યોગના એક અગ્રણીએ પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે અમે લોન લેવા બેંકોમાં જઈએ છીએ, ત્યારે બાકીના ક્ષેત્રને જેટલી સરળતાથી લોન મળે છે, તેટલી સરળતાથી રિયલ એસ્ટેટ સેક્ટરને લોન મળતી નથી. જેના કારણે અમને ઘણી તકલીફ પડે છે.

તેના પર નાણામંત્રીએ કહ્યું કે અમે રિઝર્વ બેંક સાથે વાત કરીશું કે બાકીના સેક્ટરની જેમ રિયલ એસ્ટેટ સેક્ટરને પણ બેંકો પાસેથી સરળતાથી લોન મળી શકે. તેમણે કહ્યું કે, સરકારે રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે ઘણું કામ કર્યું છે.

ટેક્સટાઈલ પરના જીએસટીમાં સુધારાની જરૂર છે

આ બેઠકમાં ગ્રાસિમના મેનેજમેન્ટે કહ્યું કે અમારે કાચા માલ પર ઘણી ડ્યુટી ચૂકવવી પડે છે. સરકારે સ્પષ્ટપણે કહ્યું કે અમે ડ્યૂટી સિસ્ટમમાં થોડી નરમાઈ કરવા માંગીએ છીએ, પરંતુ આ મુદ્દે ઈન્ડસ્ટ્રીનો કોઈ સામાન્ય અભિપ્રાય નથી. આ કારણે અમે સુધારા કરવા સક્ષમ નથી. ટેક્સટાઈલ પર ઈન્વર્ટેડ સ્ટ્રક્ચર બદલવાની જરૂર છે, ઈન્વર્ટેડ સ્ટ્રક્ચર ન બદલાવાને કારણે PLIમાં રોકાણ નહીં આવે.

તમને જણાવી દઈએ કે નાણામંત્રી આજથી બે દિવસના મુંબઈ પ્રવાસે છે. મંગળવારે, 22 ફેબ્રુઆરીના રોજ, નાણા પ્રધાન સીતારમણ સવારે 9:30 વાગ્યે નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ (FSDC) ની બેઠક યોજશે અને બપોરે 3 વાગ્યે, નાણાં પ્રધાન જાહેર ક્ષેત્રની બેંકો (PSB) ના વડાઓ સાથે બીજી બેઠક કરશે.

ટકાઉ ઈકોનોમિક રીકવરી પર સરકારનું ફોકસ

નાણામંત્રીએ કહ્યું કે, આ બજેટ એવા સમયે તૈયાર કરવામાં આવ્યું છે જ્યારે અર્થવ્યવસ્થા મહામારીની અસરોમાંથી બહાર આવી રહી છે. સીતારામને કહ્યું કે, અમે સતત અથવા ટકાઉ પુનરુદ્ધાર ઈચ્છીએ છીએ. બજેટમાં વૃદ્ધિને પુનર્જીવિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં અગ્રતાના ધોરણે ટકાઉ પુનરુદ્ધાર અને સાનુકૂળ કર વ્યવસ્થા અંગેનો સંદેશ પણ છે.

આ પણ વાંચો :  Paytm ના શેરના સતત તૂટતાં ભાવ વચ્ચે આવ્યા રાહતના સમાચાર, જાણો સ્ટોક અંગે શું કહ્યું બ્રોકરેજ ફર્મે